અમદાવાદઃ શહેરના જાણીતા મહિલા તબીબે ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા…

અમદાવાદઃ અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં લોકો મુશ્કેલીઓથી કંટાળી જઈને છેલ્લે આત્મ હત્યાનું પગલું ભરે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરમાં 60 વર્ષીય મહિલા તબીબે કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાથી કોમ્પ્લેક્સના લોકોનું ટોળું એકઠું થયું હતું. અને108ને જાણ કરતા ટીમ આવીને તેમને હોસ્પિટલ લઇ ગઇ હતી.

મળતી માહિતી પ્રમાણે સોમવારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અદ્વૈત કોમ્પ્લેક્સમાં મહિલા તબીબે ચોથા માળેથી પડુતું મુક્યું હતું. જેના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જાણ થતાં સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા. આ અંગે જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મહિલા તબીબની આત્મહત્યા કરવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ડો. મિતા માંકડ વસ્ત્રાપુર સુમેરુ બંગ્લોઝમાં રહેતા હતા. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓએ કૉમ્પ્લેક્સના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. જાણીતા ગાયનેક અને કેન્સરના નિષ્ણાત ડો. મિતા માંકડ આજે પોતાની કાર લઈને અદ્વૈત બિલ્ડિંગ આવ્યા હતા અને ત્યારબાદ કોઈપણ કારણોસર આત્મહત્યા કરી હતી.

મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે મહિલા તબીબની આત્મહત્યા અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે. મહિલા તબીબે ક્યાં કારણો સર આત્મહત્યા કરી તે અંગેનું કારણ હજી સુધી મળી શક્યું નથી. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.