વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી પટેલ સહિત ત્રણને 2-2 વર્ષની સજા ફટકારી

મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કેસ મામલે વિસનગર સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને અન્ય ત્રણ લોકોને દોષિત ઠેરવ્યા હતા. તો આ સીવાય કોર્ટે આ મામલે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

વિસનગર સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલ ત્રણેય લોકોને 2-2 વર્ષની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે 23 જુલાઈ 2015ના રોજ યોજાયેલી પાટીદાર અનામત રેલીમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ મામલે કુલ 17 લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.  

ઉલ્લેખનીય છે કે 23મી જુલાઈ, 2015ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. અને સમગ્ર મામલે કુલ 17 લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.