લોકમતના માધ્યમ દ્વારા વિઝન ડોક્યૂમેન્ટ તૈયાર કરાશે : પુરુષોત્તમ રૂપાલા

ગાંધીનગર-કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, ખેડૂતો અને નાગરિકોના સામૂહિક જનહિતના કામો માટે કેન્દ્ર સરકાર સદાય તત્પર છે અને સરકારનું મન હરહંમેશ ખુલ્લું છે. નાગરિકોના મત મેળવીને તેમના સૂચનો થકી કેન્દ્ર સરકાર આગામી સમયમાં વિઝન ડોક્યૂમેન્ટ પણ તૈયાર કરશે.

કોબા ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી સંમેલન ૨૦૧૯ને ખુલ્લુ મુક્તા રૂપાલાએ ઉમેર્યું હતું કે, વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું ચોક્કસપણે સાકાર થશે. આ માટે તાજેતરમાં જ ૧ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. ૨,૦૦૦નો પ્રથમ હપ્તો જમા કરાવી દીધો છે.

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી છે. જે હેઠળ પ્રતિવર્ષ રૂ.૬,૦૦૦ની વાર્ષિક સહાય

ખેડૂતોને અપાશે. જે માટે રૂ.૭૫ હજાર કરોડ કેન્દ્ર સરકાર ખર્ચ કરશે. ગામડાઓને સમૃદ્ધ કરવા માટે પણ દેશભરની ૨.૫ લાખ ગ્રામ પંચાયતોમાં વિકાસ માટેની ગ્રાન્ટ સીધી કેન્દ્ર સરકાર તેના ખાતામાં જમા કરાવે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પણ રૂ. ૫ લાખની મર્યાદામાં વિનામૂલ્યે આરોગ્ય સારવાર આપવામાં આવે છે. જેના દ્વારા દેશભરના ૫૦ કરોડથી વધુ લાભાર્થીઓ લાભાન્વિત થશે.

ખેતીની સાથે સાથે મત્સ્યોદ્યોગ, પશુપાલન, મધમાખી ઉછેર જેવા એલાઇડ વ્યવસાય થકી પણ કિસાનો આગળ વધશે તો ચોક્કસ પરિણામ મળશે. તેમણે ખેડૂતોને આધૂનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે પણ અપીલ કરી હતી.

રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે કહ્યું કે, ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ના સુત્રને સાર્થક કરીને રાજ્યનું માળખું દેશભરમાં અગ્રેસર છે. ખેડૂતદીઠ રૂ. ૩ લાખની લોન ઝીરો ટકા વ્યાજથી મળે તે માટે રાજ્ય સરકારે રૂા.૫૦૦ કરોડનું કોપર્સ ફંડ પણ ઉભું કરીને સરકાર ખેડૂતોના પડખે ઉભી જ છે. એ જ રીતે રાજ્યના દૂધ સંઘોનો પણ પાવડરનું વ્યાપક ઉત્પાદન થયું ત્યારે પાવડરના નિકાસ માટે સબસીડી અને સહાય પેકેજ જાહેર કર્યું છે. શેરડી પકવતા ખેડૂતો માટે પણ અનેકવિધ પગલાં લીધા છે.

રાજયની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ માટે પણ કાયદામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. માર્કેટ યાર્ડો પણ ખેત પેદાશોના ગ્રેડેશન, પ્રોસેસિંગ તથા પેકેજિંગ કરી શકશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ૭૮ હજારથી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે. જેમાં ૧.૬૫ કરોડથી વધુ સભાસદો છે ત્યારે આ સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં અનેરૂ પ્રેરક બળ પુરૂ પાડી રહી છે. આ સંમેલન પણ રાજ્યના તમામ ગામડાંઓ સુધી અત્યાધુનિક ખેતી પદ્ધતિથી ખેતીના લાભો માટે માર્ગદર્શક પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે નાફેડના વાઇસ ચેરમેન સુનિલકુમાર સિંગ અને અપેડાના ચેરમેન પબનકુમાર બોરઠાકુરે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે કોઈપણ પ્રદેશના વિકાસ માટે સહકારી ક્ષેત્રોનું યોગદાન મહત્ત્વનું સાબિત થયું છે. સહકારી માધ્યમોને જોડીને સરકાર દ્વારા કરવામાં આવતા યોજના લક્ષી કાર્યક્રમો ખેડૂતોની આવક બમણી કરવા માટે મહત્વપૂર્ણ બની રહે છે. એક માત્ર ગુજરાતમાં સહકારી સમિતિઓ મજબૂત છે. ગુજરાતની જેમ સહકારી સમિતિઓ મજબૂત થશે એ જ પ્રદેશ પોતાનો તથા ખેડૂતોનો વિકાસ કરી શકશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરીને તેનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પુરૂષોત્તમ રૂપાલાનાં હસ્તે સહકારી પ્રવૃત્તિઓમાં ઉપયોગી બની રહે તેવા ખાસ સ્મૃતિ ગ્રંથ ‘સહકારે કૃષિ સમૃદ્ધિ’ સુવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સહકારી પ્રવૃત્તિઓ માટેના અનન્ય યોગદાન બદલ ઘનશ્યામ અમીનનું સિલ્વર જ્યુબલી એવોર્ડથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.