વાઈબ્રન્ટમાં MOU થયાં, પણ પાવર પ્લાન્ટ ક્યાં..? વિધાનસભામાં હોબાળો

ગાંધીનગર– યુપીએ સરકાર વખતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં દેશભરમાં વિવિધ રાજ્યોમાં ૬ અણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપવા માટે એમ.ઓ.યુ. થયા હતા, જેમાં ગુજરાતના ભાવનગર ખાતેના મીઠીવીરડી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન મુંબઇ સાથે ગુજરાત સરકાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે એમ.ઓ.યુ. કર્યા હતા, પરંતુ વર્ષ ૨૦૧૧માં જાપાનમાં આવેલા ભયંકર સુનામીને કારણે દરિયા કિનારે આવેલા ફુકુશિમા અણુપ્લાન્ટને મોટુ નુકશાન થવાથી ભારતમાં પણ દરિયા કિનારે સ્થપાનાર અણુપ્લાન્ટનો સ્થાનિકો દ્વારા વિરોધ થયો, જેમાં ગુજરાતના મીઠીવીરડીનો પણ સમાવેશ થતો હતો. આ જ કારણે મીઠીવીરડી ખાતે અણુઉર્જા પ્લાન્ટ શક્ય બન્યો નથી, તેમ આજે વિધાનસભા ગૃહમાં ગૃહના નેતા અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીઠીવીરડીના અણુ ઊર્જા પ્લાન્ટ અંગે પૂછાયેલા ધારાસભ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી સેશનમાં પાંચ પ્રશ્નો માત્ર પાવર પ્લાન્ટના હતા, કે વાઈબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ થયા પણ પાવર પ્લાન્ટ કયા… એ પ્રશ્નનો જવાબ સૌરભ પટેલ આપતાં હતા, ત્યારે ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. બધા જ પ્રશ્નમાં એક જ જવાબ અને સ્થાનિકોનો વિરોધ અને કોંગ્રેસના કેટલાક લોકોનો વિરોધને કારણે પાવર પ્લાન્ટ શક્ય નથી બન્યો, જમીન એક્વાયર થઈ શકી નહી, જે પછી કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો, તે વખતે ગૃહમાં ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલ ઉભા થઈને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, અંતે તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા. સીએમ વિજય રુપાણીએ ઉભા થઈને પાવર પ્લાન્ટ કેમ શકય નથી બન્યો તેનો જવાબ આપ્યો હતો, જેથી પછી ગૃહમાં શાંતિ ફેલાઈ હતી.

ગુજરાતમાં એકમાત્ર કાકરાપાર ખાતે ૪૪૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ કાર્યરત છે. કોઇપણ રાજ્યમાં રાજકીય ઇચ્છા શક્તિ વિના કોઇ પ્રોજેક્ટ શક્ય નથી, તેના માટે આપણે સૌએ પક્ષાપછી છોડીને સાથે કામ કરવું પડશે, તેમ ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ દ્વારા પૂછેલા પૂરક પ્રશ્નનો જવાબ આપતાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલે ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કહ્યું હતું.