ડૉ. પ્રવીણ તોગડીયાની કારને અકસ્માત, લગાવ્યો કાવતરાંનો આરોપ

સૂરત- વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય નેતા ડૉ. પ્રવીણ તોગડીયાની કારને અકસ્માત નડ્યો હતો.  તોગડીયાની કારનો બુધવારે સવારે 11 કલાકે અકસ્માત થયો હતો. તેમની કારને ટ્રકે ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં ડૉ. પ્રવીણ તોગડીયાને કોઇ ઇજા પહોંચી નથી. કે અન્ય કોઇને પણ ઈજા થઈ નહોતી.અગાઉ તોગડીયાએ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આ અકસ્માતને પગલે તોગડીયાએ પોતાની સુરક્ષામાં છીંડા હોવાનું કહ્યું હતું. તોગડીયા વડોદરાથી પ્લસ સુરક્ષા સાથે સૂરતના સચીન વિસ્તારમાં શ્રી હરિ કોમ્પલેક્સમાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં.

આ દરમિયાન કામરેજ નજીક મનીષા હોટલ પાસે ટ્રેલર નંબર જીજે 01 ડીએક્સ 0893 ની ટક્કરથી પ્રવીણ તોગડીયાની સ્કોર્પિયો કાર અથડાઈ હતી. જેમાં કારને નુકસાન થયું હતું. જ્યારે તોગડીયાનો બચાવ થયો હતો. પોલિસ દ્વારા તેમને અન્ય કાર મારફતે સૂરત જવાની યવસ્થા કરવામાં આવી હતી.પ્રવીણ તોગડીયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, મારી સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. મને યોગ્ય સુરક્ષા આપવામાં આવી નથી. ડ્રાઈવરે ટ્રક રોકી નહોતી. મેં જ ડ્રાઈવરને પકડાવી દીધો છે અને એસપીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી લીધી છે. આ ઘટનાની યોગ્ય તપાસ થાય તેવી મારી માગણી છે.