વડોદરા: કમાટીબાગ ઝૂમાં હરણના પાંજરામાં કુતરાઓનો હુમલો, 6 હરણનાં મોત

વડોદરાઃ શહેરમાં આવેલા કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 3 રખડતા કુતરાઓએ 6 કાળિયાર હરણને ફાડી ખાવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. અને આ મામલે તપાસ હાથ ધરી હતી.હરણનના પાંજરામાં કુતરાઓ કરી રીતે ઘુસ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. હરણોના મૃતદેહોના પોસ્ટમોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંજરામાં કુલ 11 હરણ હતાં, જેમાંથી 3 હરણનો બચાવ કરી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે હરણને ઈજા પહોંચી છે. અને કુતરાઓએ 6 હરણને ફાડી ખાધા હતાં.

ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું કે, 6 હરણના મોતની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી છે. આ મામલે બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને જાણ કરવામાં આવશે.વડોદરાના કમાટીબાગ ઝુમાં હરણના પાંજરાની ફરતે કમ્પાઉન્ડ પરથી જાળી ઊંચી કરવામાં આવશે તેવું ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું. 6 હરણની મોતની ઘટના બાદ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે, કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભૂતકાળમાં પણ રોગચાળાથી હરણના મોત થઇ ચૂક્યા છે. કાળિયાર હરણને શિડ્યુલ-1નું પ્રાણી ગણવામાં આવે છે.