UPમાં હાર્દિકઃ દેશ સમક્ષ ગંભીર પ્રશ્નો છે અને નામ અને પ્રતિમાઓમાં પડ્યાં છીએ

લખનઉઃ પાટીદાર અનામત મામલે જંગે ચડેલાં પાસ નેતા હાર્દિક પટેલ હાલ ઉત્તરપ્રદેશમાં છે જ્યાં અમરોહામાં કલ્કિ મહોત્સવમાં હાજરી આપી રહ્યાં છે. ત્યારે પોતાનો અભિપ્રાય આપતાં હાર્દિક પટેલે દેશના શહેરોના નામ બદલવાની શરૂ થયેલી ઝૂંબેશ અંગે જણાવ્યું કે જો ભારત  દેશ સોનાની ચીડીયા બનતો હોય તો 125 કરોડ લોકોના નામ રામ રાખી દો.
ફૈઝાબાદ કે અયોધ્યા…કર્ણાવતી કે અમદાવાદ
અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત અંગે હાર્દિકે જણાવ્યું કે, “જો આ દેશને ફક્ત શહેરોના નામ બદલીને સોનાની ચીડિયા બનાવી શકાતો હોય તો હું માનું છું કે દેશની 125 કરોડ જનતાનું નામ બદલીને રામ રાખી દેવું જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોના મોટા અને ગંભીર પ્રશ્નો છે ત્યારે આપણે નામ બદલવામાં અને પ્રતિમાઓ બનાવવામાં લાગ્યા છીએ.”ઉત્તર પ્રદેશમાં ભાજપ વોટબેંક માટે રામ મંદિરનો મુદ્દો ઉઠાવી રહી છે. ગુજરાતમાં દરેક ગામમાં રામ મંદિર છે અને અયોધ્યામાં કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં જ મંદિર નથી બનાવી શકાયું. આ મામલે ભાજપ જાણી જોઈને રાજકારણ કરે છે. ભાજપ રાફેલ, આરબીઆઈ જેવા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે રામ મંદિરનો મુદ્દો ઉછાળી રહ્યું છે. ભાજપ અને આરએસએસ દેશનો માહોલ ખરાબ કરી રહ્યું છે, આ યોગ્ય નથી. મુદ્દાઓને ભટકાવવા માટે જગ્યાઓના નામ બદવામાં આવી રહ્યા છે.

તો બંગાળ કેમ નહીં…

નામ બદલાવ ઝૂંબેશ કરવી હોય તો મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના નામ બદલવાના પ્રસ્તાવને કેમ કેન્દ્ર સરકાર મંજૂર નથી કરતી. જૂલાઈમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સર્વસહમતિથી નામ બદલવાનો પ્રસ્તાવ પસાર થયો હતો. મમતાએ આક્ષેપ કર્યો હતો કે બીજેપી દરરોજ ઐતિહાસિક સ્થળો અને સંસ્થાઓના નામ બદલી રહી છે, પરંતુ જ્યારે પશ્ચિમ બંગાળનું નામ બદલવાની વાત આવે છે ત્યારે તેમનું વલણ કંઈક અલગ જ જોવા મળે છે.