કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે સેલવાસના ખાનવેલમાં કર્યાં વિકાસકાર્યોના લોકાર્પણ

ચૌડા, સેલવાસ-કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે કેન્દ્રશાસિતપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ માટે ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં તેમણે સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીની 83 કરોડની વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજનાથસિંહે દાદરા નગર હવેલી પ્રાકૃતિક સંપદાસભર ભૂમિ છે અને પર્યટનક્ષેત્રે દેશનું કેન્દ્ર બની શકવાની ક્ષમતા ધરાવતું હોવાનું અને ફિલ્મસીટી બનાવવા માટે ઉત્તમ સ્થાન હોવાનું જણાવ્યું હતું.  ગૃહપ્રધાને આ વિસ્તારના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજ, એન્જીનિયરિંગ કોલેજ તેમ જ યુનિવર્સિટી માટેની સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી.  તેમના હસ્તે ઉજ્જવલા દિવસની ઉજવણીના ભાગરૂપે વધુ 600 લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.  સેલવાસના અદ્યતન સુવિધાથી સજ્જ એવા અંદાજિત 6 કરોડ 95 લાખના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ કોમ્લેક્સ તેમજ દાદરા માં ઓઆઈડીસી દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત બનાવવામાં આવેલા લેબર હાઉસિંગ કોમ્લેક્સનું તેમ જ  અન્ય ત્રણ જેટલી મહત્વની કહી શકાય એવા વિકાસના કાર્યોનુ ખાતમુહર્ત અંદાજિત રૂપિયા 15,59,95567 ના ખર્ચે તૈયાર થનાર સીવરેજ સિસ્ટમ સેલવાસ આમલી પ્રોજકેટ (ફેસ ટુ ) અને અંદાજિત રૂપિયા 36,106658 ના ખર્ચે તૈયાર થનાર આમલી વોટર સપ્લાય સ્કીમનું તેમજ દૂધની અને કૌંચા ગામને જોડાતા હાઈ લેવલ બ્રિજનું ખાતમુહૂર્ત દાનહના વિકાસને નવી દિશા આપશે તેમ પોતાના પ્રવચનમાં ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું. સ્વાભિમાન યોજના અંતર્ગત એક ઘર દીઠ 7.5 કિલો ચોખા તેલ સહીતના અનાજ કરિયાણા કીટ દર માસે અંદાજિત દાનહના 6000 પરિવારોને પૂરી પાંડવામાં આવશે.
કેન્દ્રીય ગૃહપ્રધાનને દાનહની સંસ્કૃતિને ઉજાગર કરતા મોમેન્ટો ફૂલહારથી ભેટ આપવામાં આવ્યાં હતાં. રાજનાથસિંહના પહાડી અવાજમાં તેમને સાંભળવા સેલવાસ, વલસાડ, દમણથી મોટી સંખ્યામાં લોકો, ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.