ભૂગર્ભ જળ નિયંત્રણ બિલઃ કાયદો રચવાની પ્રક્રિયા આખરી તબક્કામાં

ગાંધીનગર- ભૂગર્ભ જળના અતિશય ખેંચાણને કારણે ભૂગર્ભ જળ સપાટી સતત ઉડે ન જાય તેની ચિંતા કરતાં કેન્દ્રીય ભૂગર્ભ જળ સત્તા મંડળ દ્વારા સૂચવ્યા મુજબ ગુજરાતમાં ભૂગર્ભ જળ સત્તા મંડળની રચના કરવામાં આવી છે.આ માહિતી નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની યાદી દ્વારા આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા ભૂગર્ભ જળના નિયંત્રણ અને નિયમન માટે મોડલ બિલ દરેક રાજ્યને મોકલીને તમામ રાજ્ય સરકારોને નવો કાયદો બનાવવા જણાવાયું છે. જે મુજબ ગુજરાતમાં પણ કાયદો બનાવવાની પ્રક્રિયા આખરી તબક્કે છે, એમ પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.

ગુજરાત ભૂગર્ભ જળ સત્તા મંડળ દ્વારા ભારત સરકારની માર્ગદર્શક સૂચનાઓ મુજબ ભૂગર્ભ જળના સર્વે અને અંદાજો કરવામાં આવે છે. વર્ષ-૧૯૯૭ના અંદાજ આધારિત વિગતોને અનુલક્ષીને રાજ્ય સરકારે વર્ષ- ૨૦૦૩થી ૫૭ તાલુકાઓમાં ભૂગર્ભ જળ ખેંચાણ પર નિયંત્રણ મૂક્યું હતું. જેમાં ૪૦ ઓવર એક્સપ્લોઇડ, ૧૦ ડાર્ક અને ૦૭ ખારાશ વાળા તાલુકાનો સમાવેશ થતો હતો. જે હેઠળ નિયંત્રિત તાલુકાઓમાં વર્ષ-૨૦૦૪ બાદ સિંચાઇ માટે કરવામાં આવતાં ખાનગી પાતાળકૂવાઓમાં ભૂગર્ભ જળ સત્તા મંડળની પૂર્વ મંજૂરી સિવાય વીજ જોડાણ નહીં આપવા નક્કી કરાયું અને ભૂગર્ભ જળના ખેંચાણ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. સાથે સાથે કેન્દ્રીય ભૂગર્ભ જળ સત્તા મંડળ દ્વારા વર્ષ-૨૦૧૦માં કલોલ, માણસા અને મહેસાણા તાલુકાનો ભૂગર્ભ જળ ખેંચવા માટે પણ નોટીફાઇડ કરાયા છે.