ઊના દલિતકાંડના પીડિતો હિન્દુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવશે

અમદાવાદ– ગૌરક્ષકોના હાથે મારપીટનો ભોગ બનેલાં ઊનાના ચાર દલિત યુવાનો હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવવા જઇ રહ્યાં છે. તેઓ બૌદ્ધપૂર્ણિમાએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે.જુલાઇ 2016માં ગૌરક્ષકોએ ઊનાના ચાર દલિત યુવકોને મૃત ગાયને લઇ જવાના મામલે માર માર્યો હતો જેનો વિડીયો વાઇરલ થતાં રાજ્યભરમાં ભારે ઉહાપોહ સર્જાયો હતો. એ ચારેય યુવાનોએ બૌદ્ધ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો છે. તેમની સાથે એવા જ પ્રકારની સતામણીનો ભોગ બનેલાં દલિતો પણ બોદ્ધ ધર્મ અંગિકાર કરવાના છે.

ઊનાના આ દલિત પરિવારોએ પહેલાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મતિથિએ બૌદ્ધધર્મ સ્વીકારવાના હતાં પણ હવે તેઓ બુદ્ધપૂર્ણિમાએ ધર્મ પરિવર્તન કરી લેશે. પીડિત યુવકોએ આ સંદર્ભે જણાવ્યું હતું કે ફક્ત અમે જ દલિતો વિરુદ્ધ થતાં અત્યાચારથી પીડિત નથી. માટે અમારા સમાજના અન્ય લોકોને પણ અમે બૌદ્ધ ધર્મ અપનાવવા જણાવીશું. આમ કરીને એક નવું જીવન મળશે જેમાં તેમની ઉપર જાતિના કારણે અત્યાચાર નહીં થાય. થાનગઢ દલિત કાંડમાં મોતને ભેટેલા યુવકના પિતાએ પણ જણાવ્યું હતું કે અમે બૌદ્ધ ધર્મ અપનાવવા તૈયાર છીએ કેમ કે અમારા દીકરાના હત્યારા પણ હિંદુ હતાં. તે લોકોએ અમને હિંદુ નહીં ગણ્યાં હોય એટલે અમારા દીકરાને માર્યાં. માટે અમે આ ધર્મ સાથે નહીં રહી શકીએ.