‘‘સાયબર સિક્યુરીટી’’ના ટૂંકાગાળાના અભ્યાસક્રમની તાલીમ અપાશે

ગાંધીનગર- ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા નિયંત્રિત રાજ્યની ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે રાજ્યના યુવાનોને સરળતાથી રોજગારી/સ્વરોજગારી ઉપલબ્ધ થઇ શકે તે માટે વિવિધ પ્રકારના વ્યવસાયોમાં વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રાજ્યની વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ” Cyber Security” ના ટૂંકાગાળાના અભ્યાસક્રમ દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવશે, એમ રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જણાવાયું છે.

વધુમાં જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજાયેલ Chicago University, USA ના સહયોગથી “Cyber Security Training” અંગેના તાલીમ શિબિરમાં રાજ્યની વિવિધ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ફરજ બજાવતા ૮૦ અધિકારી / કર્મચારીઓને ૧૦ દિવસની “Cyber Security Training” ની ટ્રેનર્સની ટ્રેનીંગ આપવામાં આવી હતી. આગામી સમયમાં વધુ ૧૬૦ અધિકારીઓને તાલીમબદ્ધ કરાશે. આ તાલીમ પામેલ પ્રશિક્ષકો દ્વારા રાજ્યની વિવિધ આઇ.ટી.આઇ.ઓમાં સાયબર સિક્યુરીટીના ટૂંકાગાળાના અભ્યાસક્રમોની તાલીમ અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલીમમાં ડેટા પ્રોટેક્શન, પ્રાઇવસી, નેટવર્ક સિક્યુરીટી, એનક્રીપ્સન, ક્રીપ્ટોગ્રાફી, ઇન્ફ્રાસ્ટ્રકચર સિક્યુરીટી, સાઇબર લૉ એન્ડ પોલીસી, ૨૦ ક્રીટીકલ સિક્યુરીટી કંટ્રોલ્સ, સોસીઅલ મીડિયા સિક્યુરીટી, ઇમેલ સિક્યુરીટી, એપ્લીકેશન આર્કીટેક્ચર, એન્ટી વાઇરસ સોફ્ટવેર, ઇન્સીડન્ટ મેનેજમેન્ટ, ફાયરવોલ, ઓપરેટીંગ સીસ્ટમ સિક્યુરીટી, જેવા વિવિધ વિષયોનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયુ હતું.

ભારત સરકારના ડીજીટલ ઇન્ડીયા અભિયાન અને કેશલેસ ટ્રાન્જેક્શનની અમલવારી અંતરીયાળ નાગરિકો સુધી પહોંચી રહી છે. ડીજીટલ વ્યવહારોનો ઉપયોગ રોજબરોજ વધતો જાય છે. સાથો સાથ સાઇબર ગુનાઓ, હેકીંગ, સાઇબર થ્રેટ અને એટેક વધતાં જાય છે. જેથી આ પ્રકારના ડીજીટલ ટ્રાન્જેકશન સિક્યોર રીતે, સાઇબર ક્રાઇમનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે દરેક વ્યક્તિને “Cyber Security” થી માહિતગાર કરવા જરૂરી હોઇ આવા તાલીમ વર્ગોનું આયોજન કરાયું હતું.