જશોદાબહેન મોદીઃ ‘તેઓ મારા રામ છે’

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબહેન પટેલે વડાપ્રધાન મોદીને લઈને આપેલા નિવેદન વિરૂદ્ધ વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેને નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ લગ્ન નથી કર્યા.

ફાઇલ ચિત્ર

ત્યારે આ મામલે જશોદાબહેન મોદીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આનંદીબહેન પટેલે એવું નિવેદન આપ્યું છે કે મારા નરેન્દ્ર મોદી સાથે લગ્ન થયાં ન હતાં પરંતુ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે ખુદ સોગંદનામામાં પત્ની તરીકે મારું નામ લખ્યું છે.

જશોદાબહેને વધુમાં જણાવ્યું કે, “આ ખરેખર દુઃખદ વાત છે કે એક ભણેલીગણેલી મહિલા કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે, તેઓ એક શિક્ષિકા વિશે આવું કહે. એટલું જ નહીં તેમના આ નિવેદનથી દેશના વડાપ્રધાન મોદીની છબી ખરડાઈ છે. મને તેમના પ્રત્યે ખૂબ આદર છે. તેઓ મારા માટે રામ છે. મારું અપમાન કરવું એ દેશના વડાપ્રધાનનું અપમાન છે.”