‘સ્વચ્છ ભારત’ માટે 100 કરોડનું રોકાણ કરશે આ કંપની

અમદાવાદ- યુરોપના બીજા નંબરના ફ્લેક્સીબલ પેકેજીંગ ગ્રુપ કોન્સ્ટેન્ટીઆ ફ્લેક્સીબલ્સની ભારતીય પેટા કંપની કોન્સ્ટેન્ટીઆ પરીખ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ભારત સરકારના ‘સ્વચ્છ ભારત’ મિશનને સહયોગ આપવા માટે કંપની દ્વારા નવો ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ નવું એકમ રૂ.100 કરોડના ખર્ચે સ્થપાશે અને તેમાં પર્યાવરણલક્ષી પેકેજીંગના ઉત્પાદન માટે અત્યંત આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે. આ પેકેજીંગ સોલ્યુશન્સ ભારતમાં હવે પછી લાગુ પડનારા પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પાલન કરશે અને વિશ્વમાં જે રીતે પેકેજીંગ થઈ રહ્યું છે તેમાં ક્રાંતિ લાવશે.પવન પરીખ-એમડી અને વીપીએ જણાવે છે કે “આ પ્રોજેક્ટમાં સરકારની ‘સ્વચ્છ ભારત’ પહેલ માટે નિષ્ઠા દાખવવાનું લક્ષ રખાયું છે.”

ભારત ખાતેની નવી સાઈટ દ્વારા હાઈ બેરીયર લેમિનેટસનું ઉત્પાદન કરવામાં આવશે અને તેનું સંપૂર્ણ રિસાયક્લીંગ થઈ શકશે તથા દેશમાં આવનારા નવા નિયમોનું પાલન થશે. ફૂડ અને હોમ એન્ડ પર્સનલ કેર ઉદ્યોગ માટે આ એક સારા સમાચાર છે. આ પ્રોજેક્ટની ભૂમિપૂજન વિધિ ગયા વર્ષે થઈ ચૂકી છે અને વર્ષ 2019માં વધારાની નવી ક્ષમતા શરૂ થઈ જવાની અપેક્ષા છે.

પરીખ પેકેજીંગ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. ગુજરાતની આ કંપની એ સમયથી જ ભારતના ફ્લેક્સીબલ પેકેજીંગના બજારમાં  20 ટકાથી વધુ સરેરાશ વૃદ્ધિદર ધરાવે છે. કોન્સ્ટેન્ટીઆ ફ્લેક્સીબલ જીએમબીએચ દ્વારા પરીખ પેકેજીંગ પ્રાઈવેટ લિમિટેડને વર્ષ 2013માં હસ્તગત કરવામાં આવી હતી. હાલમાં તે સ્થાનિક અને બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમજ પેપ્સીકો, યુનિલીવર, નેસ્લે, હેઈન્ઝ, અમૂલ અને પાર્લે જેવી બ્રાન્ડને મોટો પુરવઠો  પૂરો પાડે છે.