હાર્દિક પટેલના ઉપવાસનો ત્રીજો દિવસ, ડોક્ટરે પ્રવાહી લેવાની આપી સલાહ

અમદાવાદઃ પાટીદાર સમાજને અનામત અને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તે માંગણીઓ સાથે પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલે છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન શરુ કર્યું છે. આજે હાર્દિકના ઉપવાસનો ત્રીજો દિવસ છે. હાર્દિક પટેલે શનિવારે બપોરથી ઉપવાસ શરુ કર્યા હતા.

હાર્દિક પટેલે ત્રણ દિવસથી કશું ખાધુ ન હોવાના કારણે તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. દર 12 અથવા 8 કલાકે હાર્દિક પટેલની મેડિકલ તપાસ કરવામાં આવે છે. સોલા સિવિલની ડોક્ટરની ટીમ દ્વારા હાર્દિક પટેલના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અત્યારે હાર્દિક પટેલનું બ્લડ પ્રેશર અને શુગર નોર્મલ છે. ત્યારે ડોક્ટર દ્વારા હાર્દિક પટેલને લિક્વીડ લેવાની સલાહ આપવામાં આવી છે.

હાર્દિક જ્યારથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે. આજે સોમવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ હાર્દિકની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા સમર્થકોને અંદર આવતા રોકી દેવામાં આવી રહ્યા છે. આમ પોલીસ સરકારની ચાપલુસી બંધ કરે. આગામી દિવોસમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે.”