૨૮ સપ્ટેમ્બરે વેપારી મંડળ દ્વારા ભારત વેપાર બંધનું એલાન

અમદાવાદ: વોલમાર્ટ ડીલ અને રીટેલ વ્યાપારમાં એફ.ડી.આઈ.ના વિરોધમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે  ૨૮ સપ્ટેમ્બરે ભારત વેપાર બંધનું એલાન આપ્યું છે.દેશના બધા નાનામોટા તમામ બજારોએ દિવસે બંધ રહેશે અને સમગ્ર દેશમાંથી ૭ કરોડ વેપારી બંધમાં ભાગ લેશે અને ડિજિટલ રથયાત્રા શરુ કરવામાં આવશે જે ૧૬ ડિસેમ્બરે દિલ્હી પહોંચી સમાપ્ત થશે.

વેપાર મંડળ દ્વારા વિવિધ ૧૪ માંગણીઓને લઈને ભારત વેપાર બંધનું એલાન અપાયું છે. વેપારસંઘના પ્રમુખે જણાવ્યું હતું કે દિવસેદિવસે દેશમાં વોલમાર્ટ, ફ્લીપકાર્ટ ડીલ દેશના નાના વેપારીઓ માટે ઘાતક સાબિત થશે કારણ કે ઓનલાઈન વેપારના કારણે નાના વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે અને એમાં પણ બહારની કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે જેને કારણે વેપાર પર જોખમ વધ્યું છે.આ મુદ્દે સરકારનું અને જનતાનું ધ્યાન દોરવા માટે વેપારી મંડળ દ્વારા ભારત વેપાર બંધ રાખવામાં આવશે અને દેશભરના વેપારીઓ સ્વેચ્છાએ બંધ રાખીને વેપાર બંધને ટેકો આપશે અને સાથે જ વેપારીઓ દ્વારા ડિજિટલ રથયાત્રા દ્વારા અન્ય વેપારીઓને માહિતગાર કરાશે ત્યારબાદ દિલ્હી પહોંચી ત્યાં વિશાળ રેલી આયોજિત કરવામાં આવશે.