‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નાગરિકો ક્યારથી નિહાળી શકશે? બૂકિંગ વગેરે જાણો…

નર્મદાઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નું કેવડિયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રાર્પણ કરશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નાગરિકો માટે ૧લી નવેમ્બર-૨૦૧૮થી ખુલ્લું મૂકવામાં આવશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જાહેરજનતાના લાભાર્થે જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી અને ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બૂકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.

ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પ્રવાસીઓ www.soutickets.in પર જઈને ટિકિટ બૂકિંગ કરાવી શકશે. આ બૂકિંગ તા.૨૭ ઓકટોબરથી શરૂ કરવામાં આવશે. મોબાઈલ એપ્લિકેશન ટૂંક સમયમાં કાર્યરત કરાશે. ઉપરાંત પ્રવાસીઓ કેવડીયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસેથી અને શ્રેષ્ઠ ભારત ભવનથી પણ ટિકિટ મેળવી શકશે.