પાકિસ્તાન તરફથી આવેલાં રણતીડના આક્રમણથી 400 હેકટર જમીન બચાવાઈ

અમદાવાદઃ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં પાકિસ્તાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખતેરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. તીડો ખેડૂતોના ખેતરોમાં ઇંડા મુકતા હોવાથી તે બીજા હજારો તીડોનો જન્મ આપતા હોય છે જેનાથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે.

તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવી શકાય અને ખેડૂતો શાંતિથી રહી શકે તે માટે તીડના આક્રમણ સામે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવાતાં ખેડૂતોને હાશકારો અનુભાવાયો છે.

તીડ નિયંત્રણ માટે કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં કેમ્પ કરી ખડેપગે તીડ નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે. તા. ૧૧ જુલાઇ-૨૦૧૯ સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના લોદ્રાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઇગામ તાલુકાના મેઘપુરા, સૂઇગામ, પાડણ અને ભરડવા ગામમાં તથા તે વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં કુલ- 400 હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેનાથી તીડનું નિયંત્રણ કરી શકાયું છે.

રણતીડ એક આંતરરાષ્‍ટ્રીય જીવાત છે અને ખેતીનો જૂનો દુશ્મન છે. રણતીડનો ઉછેર પ્રદેશ તથા હુમલાગ્રસ્ત વિસ્તાર દુનિયાના કેટલાક દેશોમાં પથરાયેલો છે. જે લગભગ ત્રણ કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ 60 દેશો તેના હુમલાગ્રસ્ત પ્રદેશમાં આવી જાય છે. રણતીડનો મુખ્યત્વે ઉછેર યમન, ઓમાન, સાઉદી અરેબીયામાંથી ઇરાન, પાકિસ્તાનના હુમલાગ્રસ્ત વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. જેમાં રાજસ્થાન, ગુજરાત અને પંજાબના અમુક પ્રદેશો મળીને ૮૦,૦૦૦ ચોરસ માઇલ જેટલો વિસ્તાર તેના ઉછેર પ્રદેશ નીચે આવે છે. ગુજરાતમાં રણતીડનો ઉપદ્રવ છેલ્લે વર્ષ-૧૯૯૩-૯૪માં થયો હતો.