અંબાજીઃ વન કિસાન મેળાની શરુઆત, અને કરોડો રુપિયાના વિકાસ કામોનું લોકાર્પણ

પાલનપુરઃ ગુજરાત રાજ્ય કક્ષાનો 70 મો પ્રજાસતક દિન 26 મી  જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે થનાર છે. જેને લઇ સમગ્ર જીલ્લા ભરમાં કરોડો રૂપીયાના વિકાસના કામોનું લોકાર્પણ સહીત ખાદમૂર્હુત વિવિધ પ્રધાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવતી કાલે ગુજરાતના મુખ્યપ્રધાન અંબાજીની મુલાકાતે આવનાર છે.

આ પૂર્વે આજે આદિજાતિ વિકાસ અને વનપ્રધાન ગણપત ભાઈ વસાવા અંબાજી ખાતે બે  દિવસીય વનકિસાન મેળાને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મોટી સંખ્યાના ખેડૂતોને સજીવન ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. જયારે બનાસવારમી,સોલારકીટ ,એપિક્લચરલ કીટનું લોકાર્પણ સાથે ભારત સરકારની ઉજવલા યોજના થકીના ગેસના બાટલા તેમજ રાજ્ય અને ભારત સરકારની વિવિધ યોજનાના ચેક લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. તેમજ આ પ્રસંગે ખેડૂતોને લગતા વિવિધ પ્રદર્શનીય મેળાનું ગણપત ભાઈ વસાવા એ ઉદ્ઘાટન કરી સ્ટોલોની મુલાકાત લીધી હતી તેમજ જંગલ પેદાશમાંથી બનાવેલા વિવિધ ફૂડના ફોરેસ્ટ ફૂડ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કરી તૈયાર કરાયેલી વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

તેમજ કિસાનો દ્વારા તૈયાર કરવામાં આવનાર કિસાન વનનું પણ ખડમૂર્હુત કરી વૃક્ષારોપણ કર્યું હતું આમ વનમાં વિવિધ સ્થળે મુકાયેલા દીપડા અને રીંછની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે આ સમગ્ર કાર્યક્રમમાં દાંતા મતવિસ્તારના ધારાસભ્યની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી અદભૂત હતી. ત્યારે ધારાસભ્ય પોતે વનવાસી હોવા છતાં આ જાહેર કાર્યક્રમમાં તેમને ન બોલાવાતાં કોંગ્રેસનાં કાર્યકરોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.