ગુજરાત પર વાવાઝોડાંની અસર નહીં થાય, 6ઠ્ઠીએ થઈ શકે વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં 6 ઓક્ટોબરના રોજ સાયક્લોન સર્જાવાની શક્યતા છે જો કે રાહતના સમાચાર એ છે કે ગુજરાત પર આની નહિવત અસર થાય તેવી શક્યતા છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર અરબી સમુદ્રમાં 6 ઓક્ટોબરના રોજ જે સાયક્લોન સર્જાશે તે સાઉદી અરબ તરફ આગળ વધી જશે અને ગુજરાતમાં તેની અસર નહિવત દેખાશે. આ સાયક્લોનની અસર ગુજરાત પર નહિવત રહેવાની છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત અરબી સમુદ્રની નજીકના વિસ્તારોમાં વરસાદ પડશે અને વાદળછાયુ વાતાવરણ સર્જાશે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાળ સર્જાશે અને ડિપ્રેશનના કારણે અરબી સમુદ્ર તોફાની બનવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે અરબી સમુદ્રમાં રહેલા ડીપ્રેશનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

તો છેલ્લા થોડા દિવસથી ગરમીમાં પણ વધારો થયો છે ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ ગરમીમાં એકથી બે ડિગ્રી ઘટાડો થશે. અમદાવાદ સહિત રાજ્યનાં 12 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી ગયો હતો. તો આ સાથે જ રાજ્યમાં સૌથી વધારે ગરમી ભુજમાં 41.3 ડિગ્રી જેટલી નોંધાઈ હતી.