હાઈકોર્ટઃ કૂતરાંને કાબૂમાંં લેવા ગોળી ન મરાય, એરપોર્ટ ઓથોરિટીને આપ્યો ઠપકો

અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રખડતાં કૂતરાંના ત્રાસથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. તો આ સાથે જ હાઈકોર્ટે ઠપકો પણ આપ્યો છે.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કૂતરાને લઈ જવા માટે મહાનગર પાલિકા રોજ ડોગવાન મોકલે અથવા તો એરપોર્ટ ઓથોરિટીને રખડતા કુતરાને ગોળી મારવાની મંજૂરી મળે. ત્યારે એરપોર્ટ ઓથોરિટીની આ બંન્ને માંગણી ફગાવતા જસ્ટીસ અનંત દવેએ જણાવ્યું હતું કે આટલું મોટું મેનેજમેન્ટ હોવા છતા તમે કુતરા પર અંકુશ નથી રાખી શકતા તો પછી એરપોર્ટ પર આતંકવાદીઓ ઘૂસી આવશે તો શું કરશો ?

પ્રતીકાત્મક તસવીર

સિંગલ જજની બેન્ચે એરપોર્ટ ઓથોરિટીની આ અરજી રદ્દ કરી છે. તો રન વે પર રખડતા કુતરાના કારણે ફ્લાઈટ મોડી પડી હોય તેવા ઉદાહરણ પર એરપોર્ટ ઓથોરિટીએ રજૂ કર્યા અને કૂતરાને મારી નાંખવા માટે મંજૂરી પણ માંગી. જો કે કોર્ટે આ પ્રકારની કોઈપણ બાબત માટે એરપોર્ટ ઓથોરીટીને મંજૂરી આપવામાં ન આવી.

એરપોર્ટ ઓથોરીટી દ્વારા પહેલી વાર ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હાઈકોર્ટમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીએ કોર્ટમાં માંગણી કરી હતી કે કોર્પોરેશન રખતા કૂતરા પકડવા દરરોજ ડોગ વાન મોકલે અથવા તો જ્યારે ફોન કરીને બોલાવાય ત્યારે આવે જેથી ઓપરેશનલ એરિયામાં કોઈ દુર્ઘટના ન ઘટે. એરપોર્ટ ઓથોરિટીએ ફરિયાદ કરી હતી કે કૂતરાં પકડવા માટે મીટિંગમાં એએમસી તૈયારી દર્શાવે છે પરંતુ બાદમાં અસરકારક પગલા ભરવામાં આવતા નથી.કોર્પોરેશને કોઈ પગલાં ન ભરતા એરપોર્ટ ઓથોરિટીએ કોર્ટમાં પોતે જ આ સમસ્યાનો નિવેડો લાવવા મંજૂરી માગી. એરપોર્ટ ઓથોરિટીએ માંગણી કરી કે કૂતરા પકડીને એરપોર્ટથી 40-50 કિલોમીટર દૂર મૂકી દેવામાં આવે. ગત ડિસેમ્બરમાં કોર્ટે એરપોર્ટ ઓથોરિટીની આ અરજી રદ્દ કરી. કોર્ટે અવલોકન કર્યું કે 2017માં ફ્લાઈટ મોડી પડવાની ત્રણ ઘટનાઓ બની હતી, એકવાર જાન્યુઆરીમાં અને બે વાર મે મહિનામાં. દરરોજ કોર્પોરેશન ડોગવાન મોકલે તે શક્ય નથી. એરપોર્ટ ઓથોરિટીની જવાબદારી છે કે રખડતા કૂતરાંને ઓપરેશનલ એરિયામાં આવતા અટકાવે.