રેસ્ટોરન્ટ માટે પોલિસ લાયસન્સ-રીન્યુઅલની જોગવાઇ રદ

ગાંધીનગર– ગુજરાતમાં આવેલા રેસ્ટોરન્ટ માટે પોલીસ તંત્ર પાસેથી લાયસન્સ કે રીન્યુઅલ માટેની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી ગુજરાત વિધાનસભામાં આપી હતી.વિધાનસભા ગૃહમાં ગુજરાત પોલીસ (સુધારા) વિધેયક-ર૦૧૮ને રજૂ કરતા ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ  જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની  કલમ-૩૩(૧) અન્વયે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ કમિશનર પાસેથી લાયસન્સ લેવાની તથા સમયાંતરે તેના રિન્યુઅલ સબંધી મંજૂરી મેળવવાની રહે છે. આ કાર્યવાહીમાં રેસ્ટોરન્ટના વ્યવસાયિકોને મુશ્કેલીઓ પડતી હોવા અંગે રાજ્યના હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોને ધ્યાને લઇને રાજ્ય સરકારે રેસ્ટોરન્ટ માટે સક્ષમ ઓથોરિટી પાસેથી લાયસન્સ મેળવવા તથા તેના રીન્યુઅલની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

– ગુજરાતમાં હવે રેસ્ટોરન્ટ માટે સક્ષમ ઓથોરીટી પાસેથી નવું લાયસન્સ કે રીન્યુઅલ માટે મંજુરી લેવાની રહેશે નહી:  ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા

– ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની  કલમ-૩૩(૧) હેઠળ પોલીસ તંત્ર પાસેથી લાયસન્સ -રીન્યુઅલ  માટેની જોગવાઇ રદ કરતું સુધારા વિધેયક મંજૂર

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ના સેક્શન-૩૩(૧)ની સબંધિત સબ સેક્શનની જોગવાઇ રદ કરવાની કાર્યવાહી હાથ ધરીને અધિનિયમમાં (સુધારો) રજૂ થતાં હવેથી રાજ્યની તમામ રેસ્ટોરન્ટને પોલીસ અધિનિયમ હેઠળ રજિસ્ટ્રેશન કે રિન્યુઅલ કરાવવાનું રહેશે નહીં.

ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે રાજ્યના પર્યટન ઉદ્યોગને વધુ વેગ મળશે, પ્રવાસનનો વધુ વિકાસ થશે. દેશ વિદેશના ઉદ્યોગકારો અને રોકાણકારો ગુજરાતમાં આવશે.

ગૃહ રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું કે, રાજ્યના હોટલ એસોસિએશન તથા ગુજરાત વેપારી મહામંડળ દ્વારા રેસ્ટોરન્ટ શરૂ કરવા અને ચલાવવા ગુજરાત પોલીસ એક્ટ હેઠળની લાયસન્સ પ્રથા અંગેની જોગવાઇઓ દૂર કરવા માટે માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

ગુજરાત પ્રવાસન નીતિ-૨૦૧૫થી જાહેર કરવામાં આવી છે, આ નીતિ હેઠળ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે રાજ્ય સરકારે મનોરંજન કર, લકઝરી ટેક્ષ, વીજળી કરમાંથી મુક્તિ સહિતની છૂટછાટો જાહેર કરી છે. આ પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થવાથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૪.૪૮ કરોડ પ્રવાસીઓ રાજ્યમાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૮-૦૯માં પ્રવાસીઓની સંખ્યા ૧.૫૮ કરોડ હતી એટલે કે, પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.