હૃદયદાન મેળવી ગદગદ યુવતીએ દાતાનાં માતાપિતાને યુક્રેન તેડાવ્યાં

સૂરત: કામરેજના વિસ્તારના શ્યામનગર સોસાયટીમાં રહેતા પાટીદાર સમાજના રવિ ઠાકારશીભાઈ દેવાણીનું એપ્રીલ 2017માં એક્સિડન્ટ થયા બાદ બ્રેઈનડેડ જાહેર થતાં હ્રદય સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રવિના હૃદયને તે વખતે 87 મિનિટમાં સુરતથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુક્રેનની નતાલીયા ઓમેલચુકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રવિના હ્રદય સાથે જીવતી નતાલીયાએ રવિના માતા પિતાને યુક્રેન બોલાવ્યાં હતાં.

દીકરાના હ્રદય સાથે જીવતી નતાલીયાને મળીને રવિના માતા પિતાની આંખોમાં હર્ષ સાથે ગર્વના આંસુઓ સરી પડ્યાં હતાં. નતાલિયાએ રવિના માતાપિતાને યુક્રેનનો પ્રવાસ કરાવ્યો. મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકના સાળવા ગામના વતની ઠાકરશીભાઈ અને તેમની પત્ની લીલાબેનને રવિના હ્રદય સાથે જીવતી નતાલિયાએ યુક્રેન બોલાવ્યાં હતાં.

તેમનું આદર સત્કાર અને સન્માન કરવાની સાથે સાથે યુક્રેનનો પ્રવાસ કરાવ્યો હતો. નતાલિયામાં રવિને જોતાં ઠાકરશીભાઈ અને લીલાબેનનું હ્રદય ગદગદીત થઈ ગયું હતું. અને દીકરાના હ્રદયનું દાન કરીને બીજાના જીવનમાં ખુશીઓ પાથર્યાનો અહેસાસ કર્યો હતો.

રવિનો અમદાવાદમાં અક્સમાત થયેલો 6 એપ્રીલ 2017ના રોજ અમદાવાદ ખાતે ગાય સાથે અકસ્માત નડયાં બાદ બેભાન થયેલા ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ફરજ બજાવતા અમરેલી વતની રવિને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

રવિની સારવાર સુરતના પરવત પાટીયા સ્થિત હોસ્પિટલમાં ચાલતી હતી. પરંતુ તેમાં કોઈ સુધારો ન થતાં પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જેમાં રવિનું હ્રદય સુરતથી 269 કિલો મીટરનું અંતર કાપી 87 મિનિટમાં યુક્રેનની યુવતીમાં મુંબઈની હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સાથે કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુદાન કરાયા હતા.