સુરતઃ બ્રેનડેડ વ્યક્તિનાં અંગદાનથી પાંચ વ્યક્તિને મળ્યું નવજીવન

સુરત – બનાવની વિગત એવી છે કે, કોસંબાના 38 વર્ષીય રહેવાસી અને રાજપૂત સમાજના મહેશકુમાર ઉર્ફે મહિપાલસિંહે શુક્રવાર ૧ જૂનનાં રોજ માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને પાંચ-છ ઉલ્ટી થતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક કોસંબામાં આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર અપાવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે એમને સુરતમાં આવેલી INS હોસ્પીટલમાં ન્યુરોફીજીશ્યન ડો. અનિરુધ્ધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ થવાને કારણે મગજમાં સોજો વધી ગયો હોવાનું નિદાન થયું હતું.

સોમવાર ૪ જૂનનાં રોજ ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ અને ડૉ. ધવલ પટેલ, ન્યુરોફીજીશ્યન ડૉ. મનોજ સત્યવાણી, અને ઈન્ટેન્ટસિવીસ્ટ ડૉ. અંકિત ગજ્જરે મહેશકુમારને બ્રેનડેડ જાહેર કર્યા હતા.

મહેશકુમારના મિત્ર સંજયસિંહ સોલંકી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર કરણસિંહ ચુડાસમાએ ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોન પર સંપર્ક કરી મહેશકુમારના બ્રેડડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઇફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. મહેશકુમારના પત્ની બીનાબેન, ભાઈ રાકેશકુમાર, સસરા ધર્મેદ્રસિંહ, સાળા દિવ્યરાજસિંહ તેમજ પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી હતી અને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.

પરિવારના સૌ સભ્યોએ જણાવ્યું કે અમે આ જ હોસ્પિટલમાંથી બે દિવસ પહેલાં એક બ્રેનડેડ દર્દીનાં અંગોનું દાન થતાં જોયું હતું. આજે જ્યારે ડોક્ટરોએ અમારા સ્વજનને બ્રેનડેડ જાહેર કર્યા છે અને ડોનેટ લાઈફની ટીમે પણ આવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું, તેમજ આજે અમે વર્તમાનપત્રોમાં પણ ઓર્ગન ડોનેશન અંગેના સમચારો વાંચ્યા હતા તેથી અમને થયું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. શરીરના અંગો બળીને રાખ થઇ જાય તેના કરતાં તેના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આગળ વધવું જોઈએ.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં નીલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું.

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ. મિતુલ શાહ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી પ્રદીપ પરસોત્તમભાઈ ચૌહાણ (૩૫) અને બીજી કિડની અમદાવાદના રહેવાસી યશેષ જીતેન્દ્રભાઈ પટેલ (૧૬)માં, જ્યારે લીવર વડોદરાના રહેવાસી મેહુલ મનુભાઈ પટેલ (૪૪)માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં મહેશકુમાર ઉર્ફે મહિપાલસિંહના પત્ની બીનાબેન, ભાઇ રાકેશકુમાર, સસરા ધર્મેન્દ્રસિંહ, સાળા દિવ્યરાજસિંહ અને પરિવારના અન્ય સભ્યો, ન્યૂરોસર્જન ડૉ. અશોક પટેલ, ડૉ. ધવલ પટેલ, ન્યૂરોફીજીશિયન ડૉ. મનોજ સત્યવાણી, ઇન્ટેન્સિવીસ્ટ ડૉ.અંકિત ગજજર, INS હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, તથા ડોનેટલાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલા, સુભાષ જોધાણી અને યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો..

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૫૩ કિડની, ૧૦૨ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૭ હૃદય અને ૨૧૬ ચક્ષુઓના દાન મેળવીને ૫૯૧ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.