સુપ્રીમ કોર્ટને પડ્યો શક: નરોડા પાટિયા હત્યાકાંડ અંગે દોષિતોને જામીન આપતા….

અમદાવાદ- સુપ્રીમ કોર્ટે 2002નાં નરોડા પાટિયા કાંડનાં મામલામાં ચાર દોષિતો- ઉમેશ ભરવાડ, રાજરકુમાર, હર્ષદ અને પ્રકાશ રાઠોડને જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ચાર મુખ્ય દોષિતોને જામીન આપી દીધી છે. આ સાથે જ ખંડપીઠે જણાવ્યું હતું કે તેમને દોષિત ગણાવવા અંગે શંકા છે. આ મામલામાં હજી ચર્ચા થઇ શકે છે. એટલે તેમણે જામીન આપ્યાં છે. આ બધા દોષિતોને આઈપીસીની કલમ 436 (ઘરને નષ્ટ કરવાનાં ઇરાદાથી આગ લગાવવી કે વિસ્ફોટ કરવો) અંતર્ગત દોષિત ગણાવવામાં આવ્યાં હતાં.

મહત્વનું છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી. તેના એક દિવસ પછી અમદાવાદના નરોડા પાટિયામાં 96 લોકોની હત્યા કરવામાં આ‌વી હતી અને તેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગોધરા કાંડ બાદ વિશ્વ હિન્દુ પરિષદે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન નરોડા પાટિયામાં ભીડ હિંસક બની હતી અને લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ કેસ અંગે ઓગસ્ટ 2009માં પ્રથમ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં 82 આરોપીઓ સામે કેસ નોંધાયો હતો. સુનાવણી દરમિયાન 327 લોકોનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમાં પીડિતો, ડોક્ટર્સ સહિત પોલીસ અધિકારી અને સરકારી અધિકારીનો પણ સમાવેશ હતો. ત્યારબાદ 29 ઓગસ્ટ 2012ના રોજ વિશેષ અદાલતે રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા માયા કોડનાની સહિત 32 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. જેમાં કોડનાનીને 28 વર્ષના કારાવાસની સજા સંભળાવામાં આવી હતી. માયા કોડનાની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે ભીડને કથિત રીતે મુસ્લિમો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા.

આ મામલે અન્ય એક બીજા બહુચર્ચિત આરોપી બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને આજીવન કેદની સજા સંભળાવી હતી. તો અન્ય સાત લોકોને 21 વર્ષની સજા અને બાકીના લોકોને 14 વર્ષની આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. નીચલી કોર્ટે પુરાવાનો અભાવ હોવાથી બીજા 29 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં.