કાર્બાઇડ કેરી મામલે કોર્પોરેશન અને સરકારની કામગીરી પર હાઈકોર્ટે…

અમદાવાદ: કેરીની સીઝન શરુ થઈ ગઈ છે. કેરીની સીઝન શરુ થતાની સાથે માર્કેટમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીનું વેચાણ પણ શરૂ થઇ જાય છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યાં હતાં.

હાઇકોર્ટમાં કાર્બાઇડથી પકવવામાં આવતી કેરી મામલે સુઓમોટો અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે નોંધ્યું કે માર્કેટમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવાતી કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેની સામે કોર્પોરેશન અને સરકાર યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહ્યું છે. બંને પોતાની ફરજ નથી નિભાવી રહ્યાં જેના કારણે હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે.

આ ઉપરાંત હાઇકોર્ટે કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીને લઇને શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. મહત્વનું છે કે કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીને કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. લોકોમાં બિમારી ફેલાવવાનો ભય રહે છે. તો બીજી બાજુ આ વર્ષે અપૂરતા વરસાદને કારણે પણ કેરીના ઉત્પાદન પર ભારે અસર પડી છે.