ભારતીય વાયુસેના દ્વારા આકાશમાં ત્રિરંગાની નયનરમ્ય પ્રતિકૃતિની રચના અને પુષ્પવૃષ્ટિ થશે

નર્મદાઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ હરોળના લોકનેતા, લોહપુરુષ અને ભારતદેશને એકતા અને અખંડિતતાના એકસૂત્રે બાંધનારા રાષ્ટ્રના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલને વીરોચિત શ્રદ્ધાંજલિ સ્વરૂપે ગુજરાતની ધરતી ઉપર આકાર લઇ રહેલાં વિશ્વના સૌથી ઊંચા એટલે કે ૧૮૨ મીટરની  ઊંચાઇ ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ સરદાર સરોવર નર્મદા પરિયોજનાના સાનિધ્યમાં સાધુ બેટ ખાતે કરાયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકને તા. ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રને અર્પણ કરશે ત્યારે ભારતીય વાયુ સેના ‘ફ્લાય પાસ’ કાર્યકમ દ્વારા આ વૈશ્વિક ઘટનાને યાદગાર બનાવશે.

આ ‘ફ્લાય પાસ’ કાર્યકમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ સ્મારકના સ્થળ ઉપર પહોંચીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ માટે બટન દબાવશે તે જ ક્ષણે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણની ટીમ સાધુ બેટના આકાશમાં ગગનભેદી નાદ સાથે ઉપસ્થિત થશે અને ભારતીય તિરંગાની પ્રતિકૃતિથી સમગ્ર આકાશને કેસરી, સફેદ અને લીલા રંગથી ભરી દેશે.

આ પ્રસંગે ઉદબોધન બાદ વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમી ‘ધ વોલ ઓફ યુનિટી’નું અનાવરણ કરશે તે જ ક્ષણે ત્રણ જગુઆર ફાઇટર જેટ એકદમ નીચી કક્ષામાં નર્મદા ડેમ ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની દિશામાં ઉડાન ભરશે.

‘ધ વોલ ઓફ યુનિટી’નું અનાવરણ થયા બાદ વડાપ્રધાન મોદી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક ખાતે જઇને સરદાર પટેલના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરશે તે જ ક્ષણે ભારતીય વાયુસેનાના બે એમઆઇ-૧૭ હેલિકોપ્ટર પણ આકાશમાં એ જ સ્થાને ઉપસ્થિત થશે અને વડાપ્રધાનની સાથે સમગ્ર દેશના પ્રતિનિધિત્વ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર સરદાર પટેલના ચરણોમાં પુષ્પવૃષ્ટિ કરશે.