ગુજરાતના 4 રેલવે સ્ટેશનની છત પર સોલાર પેનલ

અમદાવાદ- આધુનિકીકરણની જરુરત ધરાવતાં રેલવેતંત્ર દ્વારા અમદાવાદ રેલવે ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મહેસાણા અને પાલનપુર સ્ટેશનોની છત ઉપર સોલાર પેનલ લગાડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

પશ્ચિમ રેલવે દ્વારા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા માટે સોલાર પેનલ બેસાડાઇ રહી છે. વીજભારણ ઘટાડવાના ઉદ્દેશ સાથે પશ્ચિમ રેલવે અમદાવાદ, સાબરમતી મહેસાણા અને પાલનપુર સ્ટેશનોની છત ઉપર યુદ્ધના ધોરણે સોલાર પેનલો બેસાડી રહી છે.

આ યોજના સ્ટેશનો ઉપરાંત સર્વિસ બિલ્ડિંગો, વર્કશોપ્સ, શેડ તથા રેલવે આવાસો પર પણ લાગુ કરવામાં આવી રહી છે. એનર્જી એફિસિનયન્સી ઇલેકટ્રિકલ ઇક્વિપમેન્ટ તથા રીસાયકલ એનર્જીની યોજનાઓને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન અપાઇ રહ્યું છે. રેલવે દ્વારા 2.525 MWP સોલાર ક્ષમતાનો પ્લાન્ટ લગાવવા માટે ખાનગી ક્ષેત્રની કંપની સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.

સોલાર એનર્જીના પૂર્ણ ઉપયોગ માટે જોકે કેટલીક નીતિગત બાબતોમાં ગુજરાત વીજળી બોર્ડ સાથે ચર્ચાવિચારણા થઇ રહી છે જેમાં સહમતી બનતાં આગળની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરાશે.