સુરત મનપાનું મેગા સીલિંગ ઓપરેશન, એક આખુ શોપિંગ સેન્ટર સીલ

સુરતઃ સુરત મનપાની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સવારથી જ મેગા સેલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફાયર વિભાગ દ્વારા સેફ્ટી મામલે યોગી ચોક ખાતે આવેલા એપલ સ્ક્વેર નામના આખા શોપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું. ત્યારે આ વાતને લઈને દુકાનદારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. દુકાનદારોએ શોપિંગ સેન્ટરની બહાર બેસીને દુકાનોના સીલ નહી ખોલવામાં આવે, ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

સુરત શહેરમાં મનપા દ્વારા સવારે 6 વાગ્યાથી સાત ઝોનમાં મેગા સિંલિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટી મુદ્દે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવા આવી રહી છે. જેમાં ફાયર વિભાગના અધિકારીઓ પણ સામેલ હતા. સુરત મનપા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે આ અગાઉ અનેક વખત નોટીસ આપી હોવા છતાં કોઇ કામગીરી ન થતા શહેરના મોલ અને દુકાનોમાં મેગા સિલિંગ કરવામાં આવ્યું રહ્યું હતું. જેમાં 300 જટેલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે સીલ તોડવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા યોગી ચોક ખાતે આવેલા એપલ સ્કવેર નામના શોપીંગ સેન્ટરને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. આ અગાઉ અહીં ફાયરના સાધનોને લઇને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં શૉપિંગ સેન્ટરમાં ફાયરના સાધનો મુકવામાં આવ્યા ન હતા. દુકાનો સીલ મરાતા જ દુકાનદારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. દુકાનદારો શૉપિંગ સેન્ટરની બહાર ધરણા પર બેસી જઇ મનપા મુર્દાબાદના નારા લગાવ્યા હતા. જ્યાં સુધી તેમની દુકાનોના સીલ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણાનો કાર્યક્રમ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

તો બીજી બાજુ સુરતની 40 હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમ જ લગાવવામાં આવી ન હતી. આ અગાઉ 160 હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી હતી. ત્યારે હજુ 160 પૈકી 40 હોસ્પિટલો એવી છે જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાડવામાં આવી નથી. ત્યારે મનપા દ્વારા બીજી વખત ચેકીંગ હાથ ધરતા તંત્રની બેદરકારી સામે આવી છે. જેને લઇ મનપાના ફાયર સર્વિસ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની નોટીસ આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, જો હજુ પણ ફાયર સેફ્ટીની સિસ્ટમ નહીં લગાડવામાં આવે તો હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવશે.