શેલ્ટર હોમ મુદ્દે હાઈકોર્ટે 8 મહાનગરપાલિકાને સાણસામાં લીધી

અમદાવાદ– કડકડતી ઠંડીની મોસમમાં રાતે રસ્તા પર કે જ્યાંત્યાં ઠૂંઠવાતાં લોકોની દયા ખાવી અને તેમના માટે સારી વ્યવસ્થા ગોઠવવી અલગ વાત છે. આ સંદર્ભે અમદાવાદ સહિતના રાજ્યના 8 મહાનગરોમાં અપૂરતા શેલ્ટર હોમને પગલે ગુજરાત હાઈકોર્ટમાં ગુરુવારે જાહેર હિતની અરજી દાખલ થઈ છે. જેમાં કોર્ટે અમદાવાદ સહિત 8 મહાનગરપાલિકાઓને નોટિસ ફટકારીને આ મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું છે. વધુ સુનાવણી 8 જાન્યુઆરી હાથ ધરાશે.

શહેરી વિસ્તારોમાં ઘર વિહોણા ગરીબ લોકોને પુરા પડાતા શેલ્ટર હોમની સંખ્યા ખુબ જ ઓછી છે, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં 84 હજાર ઘર વિહોણા લોકો છે. પણ રાજ્યમાં કુલ 101 શેલ્ટર હોમમાં ફકત 6,430 લોકો જ રહે છે. ગુજરાતમાં 90 ટકા ઘર વગરના લાકોને શેલ્ટર હોમ યોજનાનો લાભ મળ્યો નથી. અને સરકાર દ્રારા પણ રૂપિયા 48 કરોડની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ તે ગ્રાન્ટનો ઉપયોગ થયો નથી.સરકારના ચોપડે અમદાવાદમાં કુલ 45 શેલ્ટર હોમ છે, જ્યારે પીઆઈએલમાં અરજદાર દ્વારા વર્તમાનમાં 25 શેલ્ટર હોમ કાર્યરત હોવાનું જણાવ્યું છે. સૂરત, વડોદરા, ભાવનગર, રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓમાં પણ આવી જ સ્થિતી છે. ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને 8 મહાનગરપાલિકાને નોટિસ ફટકારીને ખુલાસો કરવા કહ્યું છે, આ કેસની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ થશે.