શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથના દર્શનાર્થે માનવમહેરામણ ઉમટી પડ્યો

સોમનાથ- ગુજરાતના સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે સ્થિતિ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે માનવનો મહેરામણ ઉમટી પડ્યો હતો. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોવાથી શિવભક્તોની ભક્તિનો જાણે કે મહાસાગર ઘૂઘવી રહ્યો છે.શ્રાવણ માસ એટલે શિવભક્તિનો માસ. ભક્તો આ માસ દરમિયાન મહાદેવને રીઝવવા વિવિધ સામગ્રી સાથે ભક્તિભાવથી સોમનાથ પહોચે છે. સોમનાથના માર્ગો શિવભક્તોની ભીડથી ઘેરાયેલા છે. શ્રાવણનો સોમવાર એટલે શિવત્વની પ્રાપ્તિ માટેનો વિશેષ અવસર. સોમ એટલે કે મનના દેવતા ચંદ્રદેવે મહાદેવની ભક્તિ થકી ક્ષીણત્વથી મુક્તિ મેળવી હતી. તે રીતે સોમનાથના દર્શન કરી ભક્તો પણ પોતાના દુઃખોથી છૂટકારો મેળવે છે. ઘણાં ભક્તો રાત્રિ દરમિયાન પગપાળા ચાલી સોમનાથ પહોચ્યા હતા. પ્રાતઃ મંદિરના દ્વારો ખુલતાં જ જય સોમનાથ નો નાદ અરબી સમુદ્ર તટે ગુંજી ઉઠેલ હતો. પ્રાતઃ મહાપૂજન સોમનાથ મહાદેવને કરવામાં આવેલ, ત્યાર બાદ પ્રાતઃઆરતીમાં મહાદેવને વિવિધ પુષ્પો ગુલાબ-કમળ સહિત પુષ્પહારોનો શૃંગાર કરવામાં આવેલ હતો. આ સૌમ્ય શૃંગારના દર્શન માત્રથી ભક્તોની પીડા દૂર થતી હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.