સહકારી બેંકિંગ ક્ષેત્રના અપડેટેશન હેતુ સાથે કોન્ફરન્સ શરુ

અમદાવાદઃ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશનના ઉપક્રમે દર ચાર વર્ષે યોજાતી કોન્ફરન્સ અને પ્રદર્શન સહકાર સેતુ 2018નું તા. 4 અને 5 ઓગસ્ટ 2018ના રોજ આયોજન કરવામાં આવશે. 200થી વધુ શહેરી સહકારી બેંકોના પ્રતિનિધિઓ આ બે દિવસના સમારંભમાં હાજરી આપશે, જેમાં સેમિનાર, પેનલ ચર્ચાઓ અને પ્રદર્શન યોજાશે. આ વર્ષનો વિષય ‘Strengthening UCBs’અને‘Let’s Grow Together under One Umbrella’રાખવામાં આવ્યો છે અને તેમાં તાજેતરની ગતિવિધિઓ અંગે સમગ્રલક્ષી સમજ, વ્યૂહાત્મક જોડાણો, આ ક્ષેત્રનું એકીકરણ અને ટેકનોલોજી અપગ્રેડેશનની સાથે સાથે મધ્યસ્થ સંસ્થાની કામગીરી અને શહેરી નાગરિક સહકારી બેંકોની વિવિધ સિધ્ધિઓના બહુમાનનો સમાવેશ થાય છે.

ફાઈલ ચિત્ર

આ કાર્યક્રમના પ્રથમ દિવસે રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એન. વિશ્વનાથન સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. તો આ સાથે જ આઈએએસના એમડી અને એનસીડીસી સંદીપ કુમાર નાયક, જે.કે. દાસ, કર્ણાટકના એમએલએ એચ.કે.પાટીલ, જીએસસી બેંકના ચેરમેન અજય પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

તો આ સાથે જ મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યપ્રધાન  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ બીજા દિવસે હાજરી આપશે. જે મહાનુભવો દ્વારા વિવિધ સિદ્ધિ હાંસલ કરનારનું સન્માન યોજાશે તે પ્રસંગે કેન્દ્ર સરકારના કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલા અને ગુજરાતના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ જેવા મહાનુભાવો હાજરી આપશે.

કોન્ફરન્સ અંગેની વિગત આપતાં ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે શહેરી નાગરિક સહકારી બેંકોના અમારા સભ્યોને માહિતી, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરૂ પાડવા તથા ટેકનોલોજીનું અપગ્રેડેશન કરીને નવતર પ્રકારનું બિઝનેસ મોડલ તથા સર્વિસના સીમાચિહ્નરૂપ ધોરણો અપનાવી શકે તે માટે અમે વર્ષ 2010 થી સહકાર સેતુ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આ વર્ષે સહકાર સેતુ કાર્યક્રમ હેઠળ શહેરી સહકારી બેંકોના સભ્યો સાથે મળીને અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશનની રચના અને કામગીરી અંગે ચર્ચા કરી ભવિષ્ય માટેનો રોડ મેપ નક્કી કરશે.