દહેજ રોરો ફેરીને નડ્યું વધુ એક વિઘ્ન, 1નું મોત

દહેજ- ઘોઘા દહેજ વચ્ચે પુન: શરુ થનારી રો રો ફેરી સર્વિસમાં વારંવાર વિઘ્ન આવી રહ્યાં છે. આજે દહેજના દરિયા કાંઠા નજીક રો રો શિપને એક ટગ બોટની મદદથી ખેંચીને બહાર લાવવામાં આવી રહી હતી, દરમિયાન વસીલા નામની ટગ બોટ પાણીમાં ગરકાવ થતાં એક વ્યક્તિનું ડુબી જવાથી મોત થયું હતું.ટગ બોટમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતાં જેમાંથી 5ને વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.

નોંધનીય છે કે, સૌપ્રથમ વખત રો રો ફેરી સર્વિસ શરુ કર્યા બાદ જૂન 2018માં બંધ કરી દેવામાં આવી હતી. સરકાર દ્વારા ચોમાસા દરમિયાન વિષમ પરિસ્થિતિ હોવાથી સલામતીના કારણોસર આ પેસેન્જર ફેરી બંધ કરાઈ હોવાનું કારણ રજૂ કર્યું હતું.

દહેજ-ઘોઘા વચ્ચે હવે બીજા તબક્કામાં રો-પેક્ષ ફેરી સર્વિસની શરૂઆત આગામી 27 ઓક્ટોબરથી શરુ થાય તેવી શક્યતા છે. હાલ તમામ પ્રકારની ટ્રાયલ લઈ લેવામાં આવી છે.

બીજી બાજુ જે કંપની કોન્ટ્રકટથી આ સેવા આપવાની છે. તેને પણ છેલ્લા ત્રણ માસમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગઈકાલે પ્રથમ ટ્રાયલમાં દહેજથી 9 ટ્રક અને 4 ફોર વ્હીલ સાથે આ જહાજ ભાવનગર આવી પહોંચ્યું હતું. જૂન-૨૦૧૮ સુધીમાં આ ફેરી સર્વિસનો ૫૪૬૩૯ મુસાફરોએ લાભ લીધો હતો. આ સર્વિસ શરુ થતાં એક જહાજમાં ટ્રક, બસ, કાર અને 500 જેટલા પેસેન્જરો મુસાફરી કરી શકશે.