રો-રો ફેરી ત્રણ દિવસ રહેશે બંધ, જાણો કારણ…

ભરુચઃ દહેજથી ઘોઘા જતી રોપેક્ષ ફેરી સર્વિસમાં યાંત્રીક ખામી સર્જાઈ છે. યાંત્રીક ખામી સર્જાવાના કારણે રોપેક્ષ ફેરી સર્વિસની સોમવાર સુધીની તમામ ટ્રીપો રદ્દ કરવામાં આવી છે. જે મુસાફરોએ આ ત્રણ દિવસ માટે બુકિંગ કર્યું હતું તેમને પૈસા રિફંડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 21 નવેમ્બરના રોજ રો-રો ફેરીનું જહાંજ મધ દરિયે યાંત્રીક ખામી સર્જાવાના કારણે બંધ પડી ગયું હતું. દહેજથી ઘોઘા તરફ સવારે 11 વાગ્યે આવકી ટ્રીપના જહાંજમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી જેથી મધદરિયે આ જહાંજ ખોટકાયું હતું.

ગુજરાતના ઘોઘા અને દહેજ વચ્ચે ખંભાતના અખાતમાં શરુ કરાયેલો રો-રો ફેરીનો આ પ્રોજેક્ટ એક પડકારરુપ પ્રોજેક્ટ છે કારણ કે અહીંયા આવતા દરિયાના મોજાઓમાં 11 મીટરથી વધારેની વિવિધતા જોવા મળી છે. આનો પ્રવાહ દિવસ દરમિયાન 4 થી 5 નોટીકલ માઈલ જેટલો રહે છે ત્યારે આવી પરિસ્થિતીમાં પ્રોજેક્ટ વિકસાવવો એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ માટે સૌથી મોટો પડકાર હતો પરંતુ આ પડકારને ઉપાડી લેવામાં આવ્યો છે. તેમણે તેમની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે આઈએસપીએલ ફેરીનું સંચાલન સફળતાપૂર્વક હાથ ધરશે.

જો કે અત્યારે હાલ તો રો-રો ફેરી સર્વીસના જહાજમાં ટેક્નિકલ ક્ષતી આવી છે જેથી તેને ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે રો-રો ફેરીમાં પ્રવાસ કરવા માટે મુસાફરોએ પહેલાથી જ બુકિંગ કરાવ્યું હોય છે. ત્યારે આ ત્રણ દિવસ માટે જે મુસાફરોએ રો-રો ફેરીમાં પ્રવાસ કરવા માટે બુકિંગ કરાવ્યું છે તે તમામ મુસાફરોના પૈસા તેમને પરત આપી દેવામાં આવશે.