આ માસમાં પુનઃશુદ્ધ કરેલું પાણી ફરી ઉપયોગમાં લેવાની રીસાયકલ પોલીસી જાહેર કરાશે

ખેડા- જળસંચય-જળસંગ્રહ માટે રાજ્યભરમાં શરુ થયેલ ઝૂંબેશના ભાગરુપે સીએમ રુપાણી આજે ખેડા પહોંચ્યાં હતાં જ્યાં પીપળાતા ગામના તળાવોની ઊંડાઇ વધારવાના સંતરામ મંદિરના સહયોગી કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેમણે એખ મહત્ત્વની બાબતે જણાવ્યું હતું કે આ માસમાં જ પુનઃશુદ્ધ કરીને વપરાયેલાં પાણીનો ફરીથી લોકવપરાશ થઇ શકે તે માટે રીસાઇકલ વોટર પોલીસીની જાહેરાત કરવામાં આવશે.સીએમે નડિયાદ તાલુકાના આખડોલ અને પીપળાતા ગામે ગામ તળાવોની ઉંડાઇ વધારવાના કામોનો પ્રારંભ કરાવવા સાથે 3.25 કરોડના ખર્ચે બંધાનારા સરકારી આરોગ્‍ય કેન્‍દ્રના નિર્માણનો પ્રારંભ કરાવ્‍યો હતો. શ્રમિકોને નિયમોનુસાર મજૂરી અને સુવિધાઓ આપવાની ખાસ કાળજી લેવા અધિકારીઓને સૂચના આપી હતી.

સીએમે જણાવ્યું હતું કે પહેલાં ચાર દિવસમાં જ છ હજારથી વધુ કામો શરૂ થઇ ગયાં છે. આ કામોના પરિણામે રાજયની જળસંગ્રહની તાકાતમાં 11 હજાર કરોડ ઘનમીટર જેટલો વધારો થશે. ખેડા જિલ્લામાં તળાવોની ઉંડાઇ વધારવાના 122, મનરેગા હેઠળ જળસંચય અને રોજગારીના 55, કાંસની સફાઇના 13 અને નદીઓને પુર્નજીવિત કરવાના ૦2 કામોનું આયોજન કરવામાં આવ્યું છે.