અમદાવાદઃ રથયાત્રાની સુરક્ષાને લઈને ક્રાઈમબ્રાંચનું પેટ્રોલિંગ શરુ

અમદાવાદઃ આગામી 14 જૂલાઈના રોજ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નીકળવાની છે ત્યારે રાજ્યની સૌથી મોટી ગણાતી રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રથયાત્રાના રૂટ પર નાઈટ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

ફાઈલ ચિત્ર

દર શુક્રવાર અને શનિવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેની તમામ ચકાસણી કરી રહી છે. ૧૪ જુલાઈના રોજ અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે.

મહત્વનું છે કે અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શનનો લ્હાવો લેવા માટે જોડાય છે સાથે જ મોટી સંખ્યામાં ટ્રક, ભજન મંડળી, અખાડા, સાધુ-સંતો જોડાય છે તેમની સુરક્ષા અને સાથે જ રથયાત્રાના રૂટ પર કેટલાક સંવેદનશીલ વિસ્તાર પણ આવેલા છે, જેથી પોલીસ દ્વારા સુરક્ષાને લઈ કવાયત શરૂ કરવામાં આવી છે.

એસીપી અને શનિવારે રાત્રે ડીસીપીની આગેવાનીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધી અને સરસપુર મંદિરથી પરત જગન્નાથ મંદિરના રૂટ પર પેટ્રોલિંગ કરી રથયાત્રા દરમ્યાન કોઈ અ‌િનચ્છનીય બનાવ ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેને લઈ ચે‌કિંગ પણ શરૂ કર્યું છે.

શહેર પોલીસ કમિશનર એ. કે સિંઘ દ્વારા રથયાત્રા રૂટના વિસ્તારમાં અલગ-અલગ ધર્મના આગેવાનો સાથે મળી શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી રહી છે. શહેરકોટડા, શાહપુર, કાલુપુર, ખાડિયા, જમાલપુર, દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા મિટિંગ કરી રથયાત્રા કોમી એખલાસ અને ભાઈચારાના વાતાવરણમાં ઊજવાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

આનંદની વાત છે કે છેલ્લાં કેટલાંક વર્ષથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહી છે. સુરક્ષાને લઈને આ વર્ષે પણ ગત વર્ષ જેટલો જ પોલીસ બંદોબસ્ત રહેશે. ૧,૦૦૦ જેટલા નવા પોલીસકર્મીઓની અમદાવાદમાં નિમણૂક કરવમાં આવી હોઈ આ વર્ષે બહારથી વધુ પોલીસની જરૂરિયાત ઊભી નહી થાય. તો સાથે જ આરએએફ અને અન્ય ફોર્સની કંપનીના અધિકારી સાથે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિટિંગ કરી અને બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી રહી છે.