રાજકોટમાં ઘંટેશ્વર પાસે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નવી જિલ્લા કોર્ટ બનશેઃ સીએમ રુપાણી

ગોડલ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ તાલુકાની કોર્ટની ઇમારત નવી બને એવું આયોજન છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના મધ્યમાં રહેલી જિલ્લા કોર્ટને ઘંટેશ્વર ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવાશે. તેમ જ ગાંધીનગરમાં પણ નવા કોર્ટ બિલ્ડિંગનું આયોજન હાથ ધરવામાં આવશે.

રુપાણીએ ગોંડલમાં રૂ. ૪૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે લોકોને જો ઝડપથી ન્યાય મળે તો તેને સારી વ્યવસ્થા અને સુશાસનનો અહેસાસ થશે. રૂલ ઓફ લો માટે લોકોને ન્યાય સાથે કાયદા મુજબ કડક સજા થાય એ જરૂરી છે. આ માટે ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને વકીલોના સંકલિત પ્રયાસોની જરૂર છે.

મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી રેડ્ડીની પડતર કેસોના નિકાલ માટેની ઝૂંબેશની પ્રશંસા કરી હતી તેમજ કોર્ટને જરૂરી સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.હાઇકોર્ટના મુખ્ય ન્યાય મૂર્તિ આર. સુભાષ રેડ્ડીએ કહ્યું કે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા કોર્ટમાં ભૌતિક સુવિધાઓ ઘણી સારી છે. કેટલીક તાલુકા કોર્ટની ઇમારતો તો હાઇકોર્ટ જેવી છે. કોર્ટમાં ભૌતિક સુવિધા આપવા માટે રાજ્ય સરકાર  તત્પર રહે છે.

પડતર કેસોના નિકાલ માટે કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની વિગતો આપતા સીજે રેડ્ડીએ કહ્યું કે, રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષથી પડતર હોય એવા ૬૦૦૦ હજાર જેટલા કેસો છે. જેમાંથી મોટા ભાગના નશાબંધીના, જમીન સંપાદનના, વાહન અકસ્માત બાકીના ફોજદારી કેસો છે. હવે જ્યારે, કોર્ટમાં પૂરતી ભૌતિક સુવિધાઓ વધતા લોકોને વધુ ઝડપથી ન્યાય મળશે. ઝડપી ન્યાય પ્રક્રિયા પર ભાર મૂકતા શ્રી રેડ્ડીએ એમ પણ જણાવ્યું કે ન્યાયિક અધિકારીઓ, કાયદા અધિકારીઓ, વકીલોના સંકલિત પ્રયાસોથી જ લોકોને ઝડપી ન્યાય મળી શકે છે, ખાસ કરીએ નશાબંધીના કેસોના નિકાલ માટે વહીવટી તંત્ર સાથે સંકલનની જરૂર છે.મુખ્ય ન્યાયમૂર્તિએ ગોંડલમાં સારા કોર્ટ બિલ્ડિંગના નિર્માણ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ગોંડલમાં રાજવીકાળની ન્યાય વ્યવસ્થા, કન્યા કેળવણી, વહીવટી સુશાસનની પ્રશંસા કરી હતી.

કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કાયદા વિભાગ માટે રાજય સરકારે ચાલુ વર્ષે રૂ. ૧૮૦૦ કરોડની બજેટમાં ફાળવણી કરી છે. આજે ગુજરાતના મોટાભાગના તાલુકામાં ન્યાયતંત્રનો પોતાનો સુવિધા સભર કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકોને સમય મર્યાદામાં ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, અગાઉ ગુજરાતની કોર્ટમાં કુલ ૨૨ લાખ જેટલા કેસ પેન્ડીંગ હતાં તેને ટૂંકા ગાળામાં સચોટ કામગીરી કરી ૧૫ લાખ સુધી પહોચાડ્યાં છે.  આ ઉપરાંત પેન્ડીંગ કેસનો ઝડપી ઉકેલ લાવવા માટે દરેક કોર્ટમાં એ.પી.પી. ની નિમણૂક કરવા માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કરેલું છે. જેને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.

આ પ્રસંગે તેમની સાથે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.