કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અમદાવાદમાં બેઠક, કુંવરજી બેઠકમાં ન રહ્યાં હાજર

અમદાવાદ– કોંગ્રેસનો ભીતરનો અસંતોષનો ચરુ ફાટી પડેલો છે તેવી સ્થિતિમાં સવારે અમદાવાદ આવી પહોંચેલા ગુજરાત પ્રભારી રાજીવ સાતવ જીપીસીસી ખાતે ધારાસભ્યો, હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે.

જોકે આ બેઠકમાં કોંગ્રેસ મોવડીઓથી નારાજ કોળી નેતા કુંવરજી બાવળીયા હાજર નહી રહે અને કોર કમિટીની બેઠકમાં પણ હાજર નહીં રહે તેવી માહિતી મળી રહી છે. સાથે જ લગભગ 20 જેટલા ધારાસભ્યો પણ હાજર રહ્યાં નથી.

બીજીતરફ રાજીવ સાતવે જણાવ્યું હતું કે કુંવરજી બાવળીયાની રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં 50 મિનિટ સુધી વાતચીત થઇ હતી તે પછી તેઓ સંતુષ્ટ છે. પાર્ટીમાં કોઇ નારાજગી નથી અને તે પક્ષનો આંતરિક મામલો છે. દરેકને વન ટુ વન બેઠક કરીને સાંભળવામાં આવશે. તમામની વાત સાંભળ્યાં બાદ નિર્ણય લેવામાં આવશે.

સાતવે વધુમાં વડોદરામાં ભાજપના ત્રણ ધારાસભ્યોની નારાજગી સદંર્ભે જણાવ્યું કે ગુજરાતમાં માત્ર બે લોકોની જ વાત સાંભળવામાં આવે છે. આ સરકાર કોઇની નથી.