એલજી હોસ્પિટલે દોઢ કલાક દર્દીને બેસાડી રાખ્યો, અંતે રેલવે કર્મચારીનું થયું નિધન

અમદાવાદઃ આજે અમદાવાદ ડિવિઝનની વટવા લોબીના લોકો પાયલટનું હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયું છે. ભરત પી પરમાર નામના આ લોકો પાયલટની તબિયત ખરાબ થતાં તેમને એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં કોઈ સીનિયર ડોક્ટર ઉપલબ્ધ ન હોવાના કારણે ભરત પરમારને બેસાડી રાખવામાં આવ્યાં.દરમિયાન સૌથી મહત્વની વાત એ છે કે ન તો તેમનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું કે ન તો ઈસીજી માટેની જરુરીયાત કોઈને સમજાઈ. આશરે 45 મીનિટ સુધી તેમને Casualty વોર્ડમાં કોઈ જ ટ્રીટમેન્ટ ન આપવામાં આવી.

ઓન ડ્યૂટી ડોક્ટરે ભરત પરમારને માત્ર Cafipar અને Omimoon-20 ની ગોળી આપી અને થોડા સમય બાદ ઘરે જવાની સલાહ આપી. પરંતુ આશરે 1 કલાક બાદ તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને આઈસીયૂમાં જવાની સલાહ આપવામાં આવી. ત્યાર બાદ નવમા માળે લઈ જતાં સમયે 5 થી 7 મીનિટમાં તેમનું મૃત્યુ થયું.

ભરત પરમારના પરિજનોએ લાપરવાહીની ફરિયાદ કરી અને યોગ્ય ઉપચાર ન આપ્યો હોવાનો આરોપ લગાવ્યો તો જે કેસ પેપર પર સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી કોઈ ઉપચાર અથવા નિદાનની કોઈ જ એન્ટ્રી નહોતી કરવામાં આવી તે કેસ પર વિવાદ વધ્યા બાદ તે કેસમાં બીપીની સમસ્યા લખી દેવામાં આવી અને અન્ય એન્ટ્રી પણ કરી દેવામાં આવી જેથી બતાવી શકાય કે ભરત પરમારને યોગ્ય સુવિધા આપવામાં આવી હતી તેમ પરિવારજનોનું કહેવું હતું.

ત્યાં ઉપસ્થિત WREU ના મંડલ સંગઠન પ્રધાન સંજય સૂર્યબલી પાસે ખાલી પડેલા કેસ પેપર પર ફોટો પણ છે જેમાં  દર્દીના મૃત્યુ બાદ આમા એન્ટ્રી કરવામાં આવી છે.