રુપાણીનો રણકારઃ માર્ચના અંત સુધીમાં 1,11,000 કરોડના MoUનો અમલ થશે

ગાંધીનગર- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું નક્કર કાર્ય કયું અને સરકાર દ્વારા જૂઠાણાં ફેલાવામાં આવતાં હોવાના વિપક્ષ કોંગ્રેસની બૂમરાણ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ  જાહેર માધ્યમોને સંબોધતાં મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમીટ 2019ની ફળશ્રુતિરૂપે જે એમઓયુ થયાં છે તેમાંથી આગામી નાણાકીય વર્ષ 31 માર્ચ 2019 પહેલાં 1 લાખ 11 હજાર કરોડના રોકાણોના ખાતમુહૂર્ત ઉદઘાટન અને કાર્યારંભ 400થી વધુ કંપનીઓ દ્વારા થઇ જશે.

રાજ્ય સરકારે આ માટેની તૈયારીઓ કરી લીધી છે અને કંપનીઓ  આડેન્ટિફાય કરી લીધી છે. એમ પણ તેમણે પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં જણાવ્યું હતું. વાયબ્રન્ટમાં માત્ર એમઓયુ જ થાય છે તેવા વિરોધીઓના આક્ષેપ સામે સીએમે જણાવ્યું કે  જે ઉદઘાટન થવાના છે તેમાં અગાઉની વાયબ્રન્ટના વિવિધ તબક્કે થયેલા એમઓયુ પણ સાકાર થવાના છે. એટલે આપોઆપ દૂધનું દૂધને પાણીનું પાણી થઇ જશે..

ફાઈલ તસવીર

મુખ્યપ્રધાને જણાવ્યું કે વાયબ્રન્ટ સમીટ  સફળતાપૂર્વક પૂર્ણ થઇ કે તરત જ રાજ્ય સરકારે રોકાણો સાકાર થાય તે દિશામાં આયોજન શરુ કરી દીધું છે અને વાયબ્રન્ટ જાન્યુઆરીમાં પૂર્ણ થયાના માત્ર બે જ મહિનામાં 2018-19 નું નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલા એ રોકાણોના ઉદઘાટન, ખાતમુહૂર્ત અને કાર્યારંભ અમલ ત્રિસ્તરીય અમલ શરૂ થઇ જાય તેવું લક્ષ્ય રાખ્યું છે.