કેદીઓને ગુજરાત સરકારની દિવાળી ગિફટઃ 15 દિવસના પેરોલ

ગાંધીનગરઃ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવીને કેદીઓ પર્વો દિવાળીના પર્વો પોતાના પરિવાર સાથે ઉજવે તે માટે કેટલાક કેદીઓની  પ્રતિવર્ષની જેમ 15 દિવસના પેરોલ મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાના દ્રઢ અમલીકરણ માટે કૃતનિશ્ચયી છે. સાથે જ તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓના પુનર્વસન હેઠળ તેમની સજા પૂરી થાય ત્યાર બાદ તે લોકો સમાજમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે તે માટે જેલ જીવન દરમિયાન પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે તે માટે તે લોકોને જેલ જીવન દરમિયાન તાલીમ આપીને સમાજના પ્રવાહમાં ભળી શકે તે પ્રકારે પરિસ્થિતી નિર્માણ કરવામાં આવશે. કેદીઓ માટેની આવી પ્રવૃત્તિઓના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે તા.૧૭/૧૦/૨૦૧૭થી એટલે કે ધનતેરસના દીવાળી પર્વથી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને તમામ મહિલા કેદીઓને ૧૫ દિવસના પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

આ કેદીઓ ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા, અન્ય રાજ્યોના -વિદેશી કેદીઓ, સી.આર.પી.સી. કલમ ૨૬૮ હેઠળના પ્રતિબંધાત્મક હુકમ કરવામાં આવ્યા હોય તેવા કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેદીઓ, સમાજ વિરોધી ગુનાવાળા કેદીઓ, એક કરતાં વધુ ગુનામાં સજા પામેલા અને સંડોવાયેલા, પેરોલ ફર્લો કે વચગાળાના જામીન પરથી ફરાર થઇ મોડા હાજર થયેલ કેદીઓ સિવાયના કેદીઓને તા.૧૭/૧૦/૨૦૧૭ ધનતેરસથી ૧૫ દિવસના પેરોલનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી કેદીઓ તેમના કુટુંબના સભ્યો સાથે દીવાળી પર્વની ઉજવણી કરી શકે.