લાંચીયા અધિકારીઓની ચાલાકી સામે ડીએનએ ટેસ્ટનું હથિયાર ઉગામાશે

ગાંધીનગર- ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા માટે તેમજ ખોટું કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવાના નિર્ધાર સાથે સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન  દાંતીવાડા, વાપી, રાજકોટ અને ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમ્યાન રૂા.૧૬ લાખથી વધુની રકમ જપ્ત કરીને ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ સામે કાયદાકીય રાહે પગલાં લેવાશે.

ઝીરો ટોલરન્સના માધ્યમથી ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવો એ અમારી પ્રાથમિકતા છે અને આગામી સમયમાં વધુ મોટ સર્ચ ઓપરેશન સરકાર હાથ ધરી રહી છે. દાંતીવાડા ખાતેની રેડમાં આર.એફ.ઓ ચંન્દ્રકાન્ત ગણપતલાલ જોષી દ્વારા લાકડાની હેરાફેરીમાં ટ્રેકટર રોકાવી રૂા. ૧૨ હજારના નાંણાની માંગણી સંદર્ભેના છટકામાં આર.એફ.ઓ. દ્વારા નોટો મોઢામાં ગળીને મોઢામાં ઉતારવાનો પ્રયાસ કરાયો હતો તે બહાર કાઢીને નાણાં જપ્ત કરાયા છે. તેમજ તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું જેમાં રૂા. ૧૩,૭૫,૯૩૦ ની રોકડ મળી આવી છે. આ કેસમાં  ફોરેન્સીક પુરાવા મેળવવા માટે એ.સી.બી.ના ઇતિહાસમાં સૈાપ્રથમ વાર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ગુનામાં ડી.એન.એ. ટેસ્ટ એફ.એસ.એલ. ગુજરાત દ્વારા કરાશે.

એજ રીતે વલસાડ જિલ્લાના વાપી ખાતે ઇન્કમ ટેકસ નિરીક્ષક જીતેન્દ્ર કલ્લુરામ દ્વારા વડીલોપાર્જીત દાગીનાના વેચાણ સંદર્ભે ફરીયાદી પાસેથી વધુ ટ્રાન્ઝેકશનના નામે રૂા. ૭૫ હજારની લાંચની માંગણી કરાઇ હતી તેમને પણ ટ્રેપ દરમ્યાન રકમ સાથે પકડી પડાયા છે. આ ઉપરાંત ગાંધીનગરના લોકલ ફંડના સબ ઓડિટર ભરતભાઇ પટેલ દ્વારા પણ લોકલ સંસ્થાના ઓડિટમાં પેરા નહિ લખવા બાબતે પ્રથમ હપ્તાના રૂા. ૨૫ હજારની માંગણી સામે રૂા. ૧૦ હજારની લાંચની રકમ લેતા પકડી પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ પેટ્રોલપંમ્પ મંજૂર કરાવવા માટે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાનું એન.ઓ.સી. મેળવવા અંગે નેશનલ હાઇવે ઓથોરીટીના એક્ઝિક્યૂટિવ એન્જીનીયર વતી રૂા.૧.૮૦ લાખની લાંચ લેતા ઘર્મેન જયકિશન રૂપારેલ પકડાઇ જતા તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરી કડક હાથે પગલાં લેવાશે તેવી માહિતી પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપી હતી.