અમદાવાદનો પ્રદીપસિંહ કશ્મીરમાં શહીદ,પરિવારને 4 લાખની સહાયની જાહેરાત

અમદાવાદ- જમ્મુ કશ્મીરના પુલવામા બોર્ડર પર આતંકીઓ સાથેની અથડામણમાં 22 વર્ષના યુવાન પ્રદીપસિંહ બ્રિજકિશોરસિંહ કુશવાહ શહીદ થયો છે. જવાન પ્રદીપસિંહ માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયો છે, આ સમાચાર મળતાંની સાથે જ અમદાવાદના મેઘાણીનગરમાં રહેતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમાચાર સગાસ્નેહીઓમાં પ્રસરી જતાં પ્રદીપસિંહના નિવાસસ્થાને તેમના અંતિમ દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.શહીદ થયેલા પ્રદીપસિંહનું પોસ્ટિંગ થોડાક સમય પહેલાં કશ્મીર સરહદે થયું હતું. જેમાં આજે પુલવામામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પ્રદીપસિંહને છાતીમાં ગોળી વાગી હતી અને તેઓ શહીદ થયાં હતાં. પ્રદીપસિંહના નિવાસસ્થાને ઉમટેલી માનવમેદનીએ પ્રદીપસિંહ અમર રહોના નારા લગાવ્યાં હતાં.  પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃતિ સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેવી માગ ઉઠી હતી. પ્રદીપસિંહના પાર્થિવદેહને આજે સાંજ સુધીમાં અમદાવાદ બાય એર લાવવામાં આવ્યો હતો.. એરપોર્ટ પર પ્રધાન નિર્મલા વાધવાણીએ ગુજરાત સરકાર તરફથી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યાંથી શહીદના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે આર્મી કેમ્પમાં લઇ જવામાં આવ્યો હતો. પ્રદીપસિંહના માતાપિતા છોટાઉદપુર ગયાં હતાં, તેમને પણ આ સમાચાર મળતાં ઝડપથી અમદાવાદ આવવા નીકળી ગયાં હતાં. પ્રદીપસિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા શહીદ પ્રદીપસિંહના પરિવારને રુપિયા 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.