રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ માથું ઉચક્યું, તંત્ર આવ્યું હરકતમાં

અમદાવાદઃ રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ ફરીએકવાર દેખા દીધી છે. રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજકોટમાં સ્વાઈન ફ્લૂના વધુ 2 જેટલા કેસો પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. તો આ સીવાય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સ્વાઈન ફ્લૂના 9 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તો આ સાથે જ સુરતમાં પણ સ્વાઈન ફ્લૂના 10 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

છેલ્લા 10 દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે 4 જેટલા લોકોના મૃત્યું થયા છે. ત્યારે સ્વાઈન ફ્લૂ વધારે ન ફેલાય તેના પ્રયાસમાં અત્યારે તંત્ર લાગી ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારે સ્વાઈન ફ્લૂના 9 દર્દીઓ દાખલ છે જે પૈકી 7 જેટલા દર્દીઓનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સ્વાઈન ફ્લૂના 9 દર્દીઓ પૈકી 2 અમદાવાદના છે અને 7 દર્દીઓ અન્ય શહેરમાંથી આવ્યા છે જેમની સારવાર ચાલી રહી છે.

તો રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવતા રાજકોટ કોર્પોરેશન સક્રિય થઈ ગયું છે. તો આ સાથે જ લોકો પણ જાગૃત રહે તે પણ ખૂબ જરૂરી છે. આ સિવાય મહિસાગરમાં સ્વાઈન ફ્લૂને કારણે 2 લોકોના મોત થયા છે. સ્વાઈન ફ્લૂના વધતા કેસોથી સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

સ્વાઈન ફ્લૂ સીવાય ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસો પણ અનેક જગ્યાએ નોંધાયા છે. ત્યારે વધતા રોગચાળાને અટકાવવા માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે પરંતુ સાથે જ લોકોએ પણ સાવચેતી રાખવાની ખૂબ જરુર છે.