ગુજરાતમાં આ રીતે અમલ થશે 10 ટકા સવર્ણ અનામતઃ નાયબ સીએમ નિતીન પટેલ

ગાંધીનગર–  આર્થિક રીતે પછાત વર્ગના યુવાઓ-વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારે ૧૦ ટકા આર્થિક અનામત આપવાનો કાયદો બનાવ્યો છે. જોને અમલ ગુજરાતમાં કરવાની જાહેરાત તત્કાળ કરી દેવામાં આવી હતી. આ અનુસંધાનમાં નાયબ સીએમ નિતીન પટેલે વધુ વિગતો જાહેર કરી હતી.

આ કાયદાનો અમલ કરવાનો નિર્ણય કરીને વાર્ષિક રૂ.૮.૦૦ લાખથી ઓછી આવક ધરાવતા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા યુવાનોને ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન રુપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્વના નિર્ણયની વધુ વિગતો આપતા પટેલે જણાવ્યું કે દેશમાં સામાજિક સમરસતા માટે આર્થિક અનામત આપવા માટેના જે ધારાધોરણો નક્કી કરાયાં છે તે મુજબ ગુજરાતમાં પણ આર્થિક રીતે નબળા યુવાનોને સહાયરૂપ થવાં પ્રધાનમંડળના સભ્યો, સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી આ નિર્ણય કર્યો છે.

પટેલે કહ્યું કે ૧૦ ટકા આર્થિક અનામત આપવા માટે વાર્ષિક રૂ.૮.૦૦ લાખની આવક સાથે જમીન માલિકી તથા રહેણાંકના ઘરની માલિકી અથવા ખુલ્લા પ્લોટની માલિકી ધરાવવી એવી વિવિધ જોઇગવાઇઓ સાથે કેન્દ્ર સરકારની નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે ધારાધોરણો રાખ્યા છે પરંતુ ગુજરાત સરકારે ફક્ત આવકનું એક જ ધોરણ રાખી વાર્ષિક રૂ. ૮.૦૦ લાખથી ઓછી આવક ધરાવતાં સવર્ણ સમાજના પરિવારના યુવાનોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે આર્થિક અનામતના લાભો આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે ટૂંક સમયમાં પ્રધાનમંડળે કરેલા નિર્ણય પ્રમાણે રાજ્ય સરકારનું નોટિફિકેશન બહાર પડશે.

પટેલે ઉમેર્યુ કે, વાર્ષિક રૂ.૮.૦૦ લાખની આવકમાં ઉમેદવાર પોતે તેમના માતાપિતા અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ભાઇબહેનની આવક ગણવામાં આવશે. આ આવકમાં કોઇ પણ નોકરીનો પગાર, ખેતીવાડીની આવક, ધંધા-વ્યવસાયની આવક વગેરે સહિત ગણવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ ૧૯૭૮ પહેલાથી વસતાં હોય તેવા તમામ સવર્ણ સમાજના કુટુંબની વાર્ષિક આવક રૂ.૮.૦૦ લાખથી ઓછી થતી હોય તેવાં યુવાનો અને વિદ્યાર્થીઓનો આ ૧૦ ટકા આર્થિક અનામતનો લાભો મળશે. આ ઉપરાંત રાજ્ય સરકારની નીતિ પ્રમાણે દરેક ભરતીમાં ૩૩% બેઠકો મહિલાઓ માટે અનામત રખાય છે. તે જ પ્રમાણે સવર્ણ સમાજની અનામત બેઠકોમાં પણ ૩૩ % બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનાર વિવિધ ભરતી પ્રક્રિયામાં પણ હવેથી ૧૦ ટકા આર્થિક અનામતની જોગવાઈ ઉમેરીને નિમણુંકની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકારની નોકરી કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે રૂ.૮.૦૦ લાખથી ઓછી આવકનું એક જ ધારાધોરણ જે નક્કી કર્યું છે તે લાગું પડશે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા થનાર ભરતી તેમજ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટેના ધોરણો કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબના રહેશે.

• રાજ્ય સરકારની ભરતી અને સરકારમાન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ૧૦ ટકા બેઠકો આર્થિક અનામતના યુવાનો માટે રહેશે
• ગુજરાતમાં વર્ષ ૧૯૭૮ પહેલાંથી રહેતાં હોય તેવા સવર્ણ સમાજના તમામને લાભ
• રાજ્ય સરકારની નીતિ પ્રમાણે દરેક ભરતીમાં ૩૩% બેઠકો મહિલાઓ માટે અનામત રખાય છે. તે જ પ્રમાણે સવર્ણ સમાજની અનામત બેઠકોમાં પણ ૩૩ % બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે
• રાજ્ય સરકારની નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આવકનો આ એક જ નિયમ ગ્રાહ્ય રહેશેઃ ભારત સરકારની નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટેના ધોરણો કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબના રહેશે
• સરકારી ભરતી પ્રક્રિયામાં હવેથી ૧૦ ટકા આર્થિક અનામતની જોગવાઈ મુજબ નિમણૂક પ્રક્રિયા હાથ ધરાશે