PSI રાઠોડના આપઘાત મામલે અંતે ફરિયાદ નોધાઇ, શુક્રવારે થશે અંતિમસંસ્કાર

અમદાવાદ- પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત મામલે ચાર દિવસ બાદ આજે ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે, અને પરિવારજનો દેવેન્દ્રસિંહ રાઠોડનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા છે. અને કાલે શુક્રવારે સવારે તેમના અંતિમસંસ્કાર કરાશે.

ચાંદલોડિયા વિસ્તારમાં રહેતાં PSI દેવેન્દ્ર સિંહ રાઠોડે 31 ડીસેમ્બરે આપઘાત કર્યો હતો અને સ્યુસાઈડ નોટમાં DYSP પટેલના નામનો ઉલ્લેખ કર્યો હતો તેને લઈને પરિવારજનોમાં ભારે આક્રોશ હતો. પરિવારજનોએ  DYSP પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ના લેવામાં આવતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

ત્યારે રાજ્યના DGP શિવાનંદ ઝાએ આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે ગુરુવારે PSI દેવેન્દ્ર સિંહના ઘરે જઈને પરિવારજનોને સમજાવતા અને ફરિયાદ નોંધવાની શરૂઆત કરતાં પરિવારજનો માની ગયા હતા અને મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા.

પીએસઆઈ રાઠોડના પરિવારજનો

DGP એ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા મામલો થાળે પાડયો હતો. પીએસઆઈ રાઠોરના મોતને 4 દિવસ થયા પણ ડીવાયએસપી સામે પોલીસ ફરિયાદ દાખલ ન થતાં પરિવારજનોમાં ભારે રોષની લાગણી હતી અને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિવારજનોએ તો ચીમકી પણ ઉચ્ચારી હતી કે ન્યાય નહિ મળે અને ફરિયાદ નહીં નોધાય તો તેઓ મૃતદેહ સ્વીકાર્યા વિના ગુજરાત છોડી તેમના વતન યુપી જતા રહેશે. માટે ક્રાઇમ બ્રાન્ચે ગંભીરતાથી આખી ઘટનાને લઈને તપાસ શરૂ કરી અને ક્રાઇમ બ્રાન્ચના ACP સહિતની ટીમ PSI દેવેન્દ્ર સિંહના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સમજાવતાં મામલે થાળે પડ્યો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે DYSP એન. પી. પટેલ સામે ગુનો નોધ્યો હતો.

ફરિયાદ નોધતાની સાથે પરિવારજનોની માંગણી પુરી થઈ હતી અને આવતીકાલે શુક્રવારે સવારે સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજથી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોરનો મૃતદેહ લઈ જઈને તેમના અંતિમ સંસ્કાર કરાશે.