રાજ્ય સરકારે બનાવેલા પવિત્ર યાત્રાધામ બોર્ડ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન

અમદાવાદ- રાજ્ય સરકારે બનાવેલા પવિત્ર યાત્રાધામ બોર્ડ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. રાજ્યસરકારે ધાર્મિક સ્થળોના વિકાસ માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ બનાવ્યું છે. જે યાત્રાધામ હેઠળ કરોડો રૂપિયાની ફાળવણી કરી યાત્રાધામોનો વિકાસ કરાય છે. આ અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં પવિત્ર યાત્રાધામ બોર્ડે સમાવિષ્ટ કરેલા ધાર્મિક સ્થાનો માત્ર એક ધર્મના હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરાઈ છે. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની રજૂઆત પણ આ પિટિશનમાં કરાઈ છે.

સરકારે જો યાત્રાધામોના વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામોનો પણ વિકાસ કરવાની જવાબદારી પણ સરકારની હોવાનો અરજદારે દાવો કર્યો છે. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે અને ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

પિટિશનમાં સમાવિષ્ટ મુદ્દા

  • પવિત્ર યાત્રા ધામ બોર્ડમાં સમાવિષ્ટ 358 જેટલા ધાર્મિક સ્થાનો માત્ર એક ધર્મને લગતા હોવાની અરજીમાં રજૂઆત
  • બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની રજૂઆત
  • સરકાર કોઈ એક ધર્મ માટે પૈસાની ફાળવણી ન કરી શકે અને ધર્મના આધારે આ પ્રકારની ફાળવણી ગેરબંધારણીય હોવાની કરાઇ રજૂઆત
  • સરકારે જો યાત્રાધામોના વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામોનો પણ વિકાસ કરવાની સરકારની જવાબદારી હોવાનો અરજદારનો દાવો

ગુજરાતમાં આ વર્ષે બજેટમાં મોઢેરાને સૌર ઊર્જા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા 22 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ. 281 કરોડ, મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ, સાબરમતી આશ્રમમાં લાઈટ સાઉન્ડ શો માટે 20 કરોડ, યાત્રાધામ વિકાસમાં પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે 28 કરોડ અને આઠ યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય પ્રાચીન ગિરનારના તૂટેલાં અને જિર્ણ થઈ ગયેલા દસ હજાર જેટલા પગથિયાંના રિપેરીંગ માટે 20 કરોડ જેટલી મોટી રકમ ફાળવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની અર્થવ્યવસ્થામાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોનો પણ મહત્વનો ફાળો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અને યાત્રીઓ વિવિધ સ્થળોની મુલાકાતો લેતા હોય છે. રાજ્ય ઉપરાંત દેશ અને ખાસ કરીને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોથી વધારો થયો છે.