હાર્દિક પટેલ અનશનઃ ઘેરથી જ ઘેરશે સરકાર, પોલિસે કર્યો આ બંદોબસ્ત

ગાંધીનગર– પાટીદાર આંદોલનની ત્રીજી વર્ષગાઠે પાટીદારોમાં અનામતનો જુવાળ ઊભો કરનાર તારીખ 25 ઓગસ્ટને દિવસે હાર્દિકે પોતાના આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ જાહેર કરેલો છે. તેના ઉપાસ સ્થળને લઇને પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા આજ સાંજ સુધીમાં ટળી રહેલી દેખાઈ છે. હાર્દિકે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલનની માગેલી મંજૂરીની અરજી નકારવામાં આવી છે. જેને લઇને હાર્દિક પોતાના ઘેરથી જ ઉપવાસ શરુ કરશે તે નિશ્ચિત બની રહ્યું છે.કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.હાર્દિકના ઉપવાસને લઇને પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી તોડફોડ ટાળી શકાય.  3 એસઆરપીની ટુકડી, 3 ડીસીપી 8 એસીપી 35 પીઆઈ સહિતનો સ્ટાફ ખડકી દેવામાં આવશે.

તો બીજીતરફ સૌરાષ્ટ્રના ગામોમાંથી પાટીદારો હાર્દિકને સમર્થન આપવા અમદાવાદ આવવા નીકળી રહ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ખાસ કરીને ઝાલાવાડમાં હાર્દિકને સમર્થન આપતાં બેનર પણ જોવા મળી રહ્યાં છે.

આ ઉપરાંત પાસના કેટલાક સાથીદારો દ્વારા પણ હાર્દિકની સાથે ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે. તો, રાષ્ટ્રીય નેતાઓનું પણ હાર્દિકના ઉપવાસને સમર્થન હોવાનું પાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.