અમદાવાદઃ કોંગ્રેસ- પાસની બેઠક, અનામત ટેકનિકલ મામલો સ્વીકાર્યું

અમદાવાદ– પાટીદાર નેતા હાર્દિક પટેલે 3 નવેમ્બરનું કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું હતું કે કોંગ્રેસ પાટીદારોની અનામતને લઈને પોતાનું સ્ટેન્ડ કલીયર કરે… જે પછી આજે પ્રદેશ કોંગ્રેસ અને પાસના નેતાઓ વચ્ચે અમદાવાદના પ્રદેશ કોંગ્રેસના કાર્યાલયમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. હાર્દિક પટેલ આ બેઠકમાં ગેરહાજર હતાં, પણ તેમના મોકલેલા સભ્યો હાજર રહીને હાર્દિક પટેલ વતી ચર્ચા કરી હતી. આ બેઠક પછી કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને પાટીદારો પ્રત્યેનો ભારોભાર પ્રેમ છલકાતો હોય તેમ જાહેરાતો કરી હતી. જો કે હજી એ સ્પષ્ટ થયું નથી કે પાસના હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાશે કે નહી. કોંગ્રેસે તો છૂટાં હાથે વચનો આપી દીધાં છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરત સિંહ સોલંકી અને અગ્રણી નેતા સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ જણાવ્યું હતું કે આજે પાસના કાર્યકરો સાથે થયેલી બેઠકમાં અનેક મુદ્દાઓ લઈને સહમતિ સધાઈ ગઈ છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો (1) તપાસ માટે એસઆઈટીની રચના થશે (2) રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચાશે (3) અનામત મુદ્દે બંધારણની રીતે નિષ્ણાતોની સલાહ લેવાશે (4) જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાશે (5) બિન અનામત આયોગમાં 2 હજાર કરોડ ફાળવાશે (6) આંદોલન દરમિયાન પાટીદાર શહીદોને રૂપિયા 35 લાખની સહાય અપાશેજો કે આ અગાઉ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાઈ છે કે 20 ટકા ઈબીસી અમારી સરકાર આપશે. અગાઉ હાર્દિક પટેલને વિધાનસભાની ટિકિટ આપવાની ઓફર પણ કરાઈ છે.

આ બેઠક બાદ હાર્દિકે રાજકોટથી પ્રતિક્રિયા આપી હતી કે ભાજપ પર ભરોસો મૂકી જોયો. હવે કોંગ્રેસ પર ભરોસો મૂકી શકાય. કોંગ્રેસ પાંચમાંથી 4 મુદ્દા સ્પષ્ટ કર્યાં છે. આજીવન કારાવાસ મંજૂર પણ બીજેપી નહીં.

કોંગ્રેસે EBC માટે 20% ની તૈયારી બતાવી છે, બેઠકથી અમે સંતુષ્ઠ છીએ- અલ્પેશ કથીરિયા

અનામત આપવી કઇ રીતે તેની મૂંઝવણ ભાજપને છે તેમ કોંગ્રેસને પણ છે, અનામતના મુદ્દાને કોંગ્રેસે ટેકનિકલ મુદ્દો ગણાવ્યો છે જે હવે PAASકમિટીને પણ કોંગ્રેસની વાત સાચી લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ભાજપ સરકાર પહેલાં જ કહી ચૂકી છે કે આ ટેકનિકલ મામલો છે.