પાસ નેતા દિલીપ સાબવાએ પૂજ તપાસપંચમાં પોલિસ દમનમાં પગલાં ભરવા માગ કરી

અમદાવાદ– ઓગસ્ટ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત માટે ભરાયેલી સભા બાદની પોલિસ કાર્યવાહીની તપાસ કરવા માટે નિમાયેલાં પંચે પોતાનું કામકાજ શરુ કરી દીધું છે. પોલિસ દમનની ફરિયાદોના તથ્યોની તપાસ માટે સરકારે નીમેલાં કે એ પૂજ તપાસપંચ સમક્ષ રજૂઆતોનો દોર શરુ થયો છે.

આ કડીમાં આજે બોટાદના પાસ નેતા દિલીપ સાબવા અને તેમની સાથેના પાટીદારોએ તપાસપંચમાં રજૂઆત કરી હતી. જેમાં બોટાદની પોલિસ દમનની કથિત ઘટનાની રજુઆત કરાઇ છે. 17 એપ્રિલ 2017 ના રોજ બોટાદમાં સર્જાયેલી ઘટના અંગે સોગંદનામું રજૂ કરાયું છે. વલભીપુરના તત્કાલીન PSI બોટાદ LCBના તત્કાલીન PSI અને LCBના 2 પોલિસ કોન્સ્ટેબલ સામે પગલાં ભરવા રજૂઆત કરાઇ છે.

આ તપાસપંચ સમક્ષ પોલિસ દમન અંગેની રજૂઆત 25 મે સુધી કરી શકાશે. જેમાં અમદાવાદ સહિત મોરબી, રાજકોટ, મહેસાણા, પાટણ, જામનગર, સૂરત, વડોદરા એમ તમામ સ્થળેથી રજૂઆત કરવા માટે મોટીસંખ્યામાં પાટીદારો પહોચે તેવી વકી છે..