રૈયોલી ફોસીલ પાર્ક લોકાર્પિત, વિશ્વને ગુજરાતની મહામોલી ભેટ

બાલાસિનોર– ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસૌર મ્યુઝિયમ અને ફોસીલ પાર્ક ને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર આપશે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે રૈયાલીમાં ડાયનાસૌર મ્યુઝિયમ નું લોકાર્પણ કરતાં હવે ગુજરાતના પ્રવાસન વિકાસમાં એક નવું મોરપિચ્છ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.સીએમ રૂપાણીએ આજે બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કર્યુ હતું.

અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલા મહીસાગર તાલુકાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે. તેને નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યુ છે. ઉદ્યાનની સાથે અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને ૧૦ ગેલેરી ધરાવતું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જે વિશ્વની ગુજરાતની અને રૈયોલી ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપશે. ગુજરાત પ્રવાસન નિગમ વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે.

તેમણે કહ્યું કે આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકોથી માંડી ડાયનાસૌરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે.

રૂપાણીએ ડાયનાસોર પાર્કના ઉદઘાટન સાથે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને આજથી જોવા મળવાની છે તેમ તેમણે જણાવ્યું હતું.ગુજરાતની ઐતિહાસિક ધરતી પર હડપ્પન સંસ્કૃતિથી લઇ લોથલ ધોળાવીરાથી માંડીને અનેક પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનો પણ ઉલ્લેખ છે. ગુજરાતમાં ડાયનાસોરના અવશેષો પણ બાલાસિનોરની ધરતી પર મળ્યા છે. જેને પ્રવાસન નિગમ દ્વારા ઉજાગર કરી ગુજરાતે દુનિયાને નવું નજરાણું આપ્યું છે.

ગુજરાત દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જુરાસિક પાર્ક – રૈયોલીના ડાયનાસોર પાર્કની ભેટ આપી રહ્યું છે સ્ટીવન સ્પીલબર્ગે “જુરાસિક પાર્ક” નામની જગપ્રસિદ્ધ ફિલ્મ બનાવી હતી. ૧૯૯૩માં રિલીઝ થયેલી એ ફિલ્મે અબાલ-વૃદ્ધ સૌને ઘેલું લગાડ્યું હતું તેમ જણાવતાં મુખ્યપ્રધાને લોકોએ પહેલી જ વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઇને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ કર્યો હતો તેમ તેમણે ઉમેર્યુ હતું. અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો, તે જ રોમાંચ ગુજરાતમાં આ પાર્કમાં ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને મળવાનો છે. જે આજે ગુજરાતે ભારતને જુરાસિક પાર્કની ભેટ આપી છે. રૈયોલીનું ડાયનાસોર પાર્ક વર્લ્ડ મેપ પર બાલાસિનોરને ચમકાવશે – સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતનું વધુ એક અલભ્ય પ્રવાસન નજરાણું ડાયનાસોરની સૃષ્ટિમાં રસ ધરાવતા સમગ્ર સંશોધકો, યુવાનો માટે રૈયોલી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

૧૯૮૦ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ દરમિયાન ક્રિટેશિયસયુગના ડાયનાસોરના ઈડાં અને અવશેષો મળ્યા હતા તેનો ઉલ્લેખ કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, સંશોધકોએ અહીં નવી પ્રજાતિના અવશેષો શોધી કાઢ્યાં હતા. જિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના મંતવ્ય પ્રમાણે તો ડાયનાસોર જીવાશ્મિનો એક અદભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્ત્વના છે. સાડા છ કરોડ વર્ષ જૂના આ અવશેષો મનાય છે.

આ ઈડાંની કાળગણનાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે ભારતની જીવસૃષ્ટિ અને સંસ્કૃતિ છ હજાર કરોડ વર્ષ કરતાં પણ જૂની છે. વિશાળકાય ડાયનાસૌરના લગભગ ૬૫ મીલિયન વર્ષના ઈતિહાસને રજૂ કરતો ભારતનો સૌ પ્રથમ અને અદ્યતન ‘ખોદકામ થી પ્રદર્શન’ સુધીની ગાથા કહેતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બન્યો છે. આ ડાયનાસોર પાર્ક રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે.

આ ડાયનાસોર પાર્કની સ્થાપનાનો ફાયદો પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને થશે અને ગુજરાતનું ટુરિઝમ સેક્ટર વધુ મજબૂત બનશે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવા પ્રવાસન નજરાણાં ઉમેર્યાં છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણના સિંહ, બાલાસિનોરનો ડાયનાસોર પાર્ક, રતનમહાલ રીંછ અભ્યારણ્ય, વેરાવળના દરિયાની ડોલ્ફિન, કચ્છનું સફેદ રણ, જૂનાગઢનો સૌથી મોટો રોપ-વે વિશ્વ આખાને ગુજરાત તરફ આકર્ષિત કરશે.પ્રવાસન સુવિધા સ્થપાય એટલે સ્થાનિક નાગરિકોને રોજી-રોટી મળવા સાથે પરંપરાગત હસ્તકલા કારીગરી એમ અનેક વંચિત-ગ્રામીણ પરિવારોને મોટો આર્થિક આધાર મળી રહે છે. એટલે જ ગુજરાતમાં આપણે ટુરિઝમને રોજગાર સર્જનનું સબળ માધ્યમ બનાવ્યું છે.

બાલાસિનોરમાં રૈયાલીનો આ ડાયનાસૌર પાર્ક હવે પ્રવાસન આકર્ષણ સહિત સ્થાનિક રોજગારી સર્જનનું સબળ પ્લેટફોર્મ બનશે જ એવો વિશ્વાસ મુખ્યપ્રધાને વ્યકત કર્યો હતો.રાજયના પ્રવાસનપ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું કે આ ગુજરાતનું જુરાસીક પાર્ક છે. ડાયનાસોરની અહીં જે ત્રણ વિશિષ્ટ પ્રજાતિઓ વિશ્વમાં કયાંય ન હતી. ડાયનાસોર આધારિત પ્રવાસનનું આ આગવું અને વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે.